નિઃસ્વાર્થ ભાવ અને શ્રધ્ધા

faith


“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

ના. આવું કંઇ જ અમે જાતે લખ્યું નથી; આ તો રખડતાં-વાંચતા ઉપરોક્ત વાક્ય એક બ્લૉગમાં નજરે આવી ગયું અને હવે મનમાં અટકી ગયું છે. (તે બ્લૉગને અહીયાં લીંક કરી શકાય, પરંતુ અમારી બચેલી સમજણ એવું કહે છે કે તેમ કરવું કોઈને સળી કરવા બરાબર ગણાશે.)

લગભગ આ જ પ્રકારનો અર્થ ધરાવતા વાક્યો હું ઘણીવાર પ. પુ. સંતો/મહંતો અને મહાજ્ઞાની ગુરુઓ પાસેથી પણ સાંભળી ચુક્યો છું એટલે મારી માટે કંઈ નવું નથી. (સંસારમાં અગાઉ બધું કહેવાઇ ચુક્યું છે!)

આજે એમ જ આ વાત પર નજર પડી હતી તો તેના પર વધું ચિંતન કરવાનું મન થયું. જો એકલા-એકલા વિચારીને ભુલી જઇએ તો વાતનું વતેસર ન થાય પરંતુ આ વાતને મારા વિચારો તરીકે આ બગીચામાં કાયમી નોંધવાની પણ ઇચ્છા થઇ; જેથી હું મારી આ સમયની માન્યતાને ભવિષ્યમાં પણ જોઇ શકું! (અહી નોંધાયેલી વાતોથી બીજો ફાયદો એ પણ થાય છે કે ક્યારેક જરૂર પડે ત્યારે આખીવાત સમજાવવાની મહેનત કરવા કરતાં કોઇને ડાયરેક્ટ રેફરન્સ લીંક આપતા ફાવે.)

ઉપરનું ક્વૉટ ધરાવતી મુળ પોસ્ટ આસ્તિક અને નાસ્તિક વચ્ચેના મુકાબલામાં આસ્તિકતાને સર્વશ્વ/સર્વોત્તમ/સત્ય પુરવાર કરવાના હેતુથી હતી. (કોઇને ઇચ્છા હોય તો તે પોસ્ટની લીંક માંગી લેજો. ઠીક લાગશે તો મોકલી પણ આપીશ)

ટેકનીકલી અમે હજુ થોડાક આસ્તિક છીએ પણ વધારે પડતી તાર્કિક વાતો કરતા હોવાથી લોકોએ અમને નાસ્તિક્તાના ટોળામાં સમાવી દીધા છે! (હોય એ તો… જેવી જેની સમજણ.)

જો કે બગીચાવાળા બાબા બગીચાનંદે પણ પ્રખર અધ્યયન બાદ કહ્યું છે કે; આસ્તિકતા પુરવાર કરવા માટે ‘શ્રધ્ધા‘ સૌથી શક્તિશાળી હથિયાર છે; કે જેનો મુકાબલો ક્યારેય નાસ્તિક લોકો નહી કરી શકે. 1

~ પ્રસ્તાવનામાં જ ઘણું કહેવાઈ ગયું; હવે મુખ્ય મુદ્દા ઉપર આવું. (મને પણ થયું કે હું વાતને ખેંચી રહ્યો છું.)


# વાક્યના પ્રથમ ભાગનું પૃથ્થકરણ2 કરીએ:

“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે.”

  • આ વિશે વધારે કહેવાની જરુર તો નથી કેમ કે આ એક સંપુર્ણ સનાતન સત્ય છે. તેની સત્યતા વિશે લગભગ કોઇ મતમતાંતર નહી હોય. (કેટલીક વાત એટલી સાચી હોય કે તે વિશે ટિપ્પણી થઈ ન શકે.)
  • સનાતન સત્ય એવા આ વાક્યનો ઉપયોગ અહીયાં માત્ર બીજા વાક્યની સત્યતાને વધુ પ્રમાણમાં સાબિત કરવા માટે જ થયો છે. (છતાંય આ પૃથ્થકરણ માટે કોઈને વાંધો હોય તો કહી દેવું.)

# હવે આ પોસ્ટ લખવાનો જે મુળ હેતુ છે તે ભાગ પર આવીએ –

“નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

  • ચર્ચા માટે અઘરો વિષય પણ સમજવામાં સાવ સરળ. અઘરો એટલા માટે, કેમ કે મોટા/મહાન જ્ઞાનીઓના ઓટલા અને રોટલાનો સવાલ છે! (તેમના મતે… આપણે સામાન્ય માણસ પાસે એટલું જ્ઞાન જ ક્યાં છે કે એવા તત્ત્વજ્ઞાનીઓના વિષય પર ચર્ચા કરી શકીએ!)
  • શ્રધ્ધાની વ્યાખ્યા ઘણી વિસ્તૃત છે, પરંતુ બાબા બગીચાનંદ અનુભવીઓના સંસર્ગ બાદ વ્યાખ્યાથી થોડું આગળ વધીને જણાવે છે કે અંધશ્રધ્ધા એ શ્રધ્ધાનું વિરોધી નથી. શ્રધ્ધાનું વિરોધી અશ્રધ્ધા કહી શકાય. અંધશ્રધ્ધા તો એક એવી પરિસ્થિતિ છે જે શ્રધ્ધાના અતિરેક પછી જન્મે છે.
  • અહી ઉપર જે વાક્યમાં જણાવ્યું છે કે “નિઃસ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય” – શ્રધ્ધા ક્યારેય નિઃસ્વાર્થ ભાવે હોઇ જ ન શકે. માત્ર અંધશ્રધ્ધા જ નિઃસ્વાર્થ ભાવે હોઇ શકે છે. શ્રધ્ધા ત્યાં જ જન્મી શકે જ્યાં સ્વાર્થ હોય. જો અગર સ્વાર્થ નથી તો ત્યાં ક્યારેય શ્રધ્ધા પ્રવેશ કરી જ ન શકે!
  • જો કોઇને એમ લાગતું હોય કે તેમની શ્રધ્ધા ખરેખર સંપુર્ણ નિઃસ્વાર્થ છે, તો પોતાના મા-બાપ/બાળકો/ઇશ્વરના સમ ખાઇને દિલ પર હાથ મુકીને મનોમન વિચારજો. કોઇનેય જણાવ્યા વગર તમારી શ્રધ્ધાના ઉંડાણમાં જજો કે શા માટે આપને જે-તે પંથ/વ્યક્તિ/ગુરૂ/ઇશ્વર/ધર્મ પ્રત્યે એટલી શ્રધ્ધા છે. (આપનું દિલ આપને સાચો જવાબ આપશે જ. આપનો સ્વાર્થ પણ જણાવશે. હા, મોક્ષ કે સ્વર્ગ મેળવવાની ઇચ્છા પણ સ્વાર્થનો જ એક પ્રકાર છે! બસ, આપનું તાર્કિક મગજ તેને સ્વીકારવા તૈયાર હોવું જોઇએ.)
  • સ્વાર્થથી જન્મેલી આ શ્રધ્ધામાં જ્યારે અતિરેક ભળે ત્યારે તેનું અંધશ્રધ્ધામાં રૂપાંતર થતું હોય છે અને અંધશ્રધ્ધા જન્મે તો જ નિઃસ્વાર્થ ભાવ જન્મ લેતો હોય છે.
  • આવી અંધશ્રધ્ધામાં રાચતા વ્યક્તિની શ્રધ્ધા એકદમ પવિત્ર અને નિઃસ્વાર્થ કહી શકાય. કેમ કે આ કક્ષા બાદ વળતરની અપેક્ષા નહિવત બની જાય છે અને ક્યારેક વળતરનો એ સ્વાર્થ ભુલીને પોતાની જાતને જે-તે વસ્તુ/વ્યક્તિ કે અન્ય હેતુ માટે નિઃસ્વાર્થ પણે ખપાવી દેવા તૈયાર થઇ જાય છે.
  • આ સ્થિતિમાં વ્યક્તિની સામે તર્ક, વાસ્તવિકતા કે વૈજ્ઞાનિક સત્યની કોઇ કિંમત હોતી નથી, તેની માટે તેની અંધશ્રધ્ધા3 જ સર્વોપરી, સનાતન અને નિઃસ્વાર્થ બની ગઇ હોય છે.

માટે, ઉપરોક્ત પુર્ણ વાક્યના અધ્યયન અને તે વિશે વિચારણા કર્યા બાદ કહી શકાય કે શરુઆતમાં જણાવેલ આખું વાક્ય/ક્વૉટ સદંતર ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે.

લાગતા-વળગતા નોંધ લે.
ન સમજાય તે ઇગ્નૉર કરીને આગળ વધે.
અસ્તુ.

🙏