નેશનલ અપડેટ્સઃ ઓગષ્ટ’19

~ આજે ભારતવર્ષ માટે અતિમહત્વની એક એવી રાષ્ટ્રીય સમસ્યા વિશે અપડેટ છે કે જે આમ અચાનક જ ઉકેલાઇ જશે એવું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. તેનો આ રીતે એક ઝાટકે ઉકેલ લાવી શકાય છે તેવો અંદાજ કરવો પણ અશક્ય હતો.

~ આ એ સમય છે કે જેમાં બંધારણની કલમ-370 ને નાબુદ તો ન કહેવાય પણ લગભગ નિષ્ક્રીય થતા જોઇ. આ એજ કલમ હતી જે જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતીયસંઘ સાથે જોડાયેલ અન્ય રાજ્યોથી અલગ ખાસ દરજ્જો આપતી હતી. (ભવિષ્યમાં આ ઘણી મોટી ઘટના કહેવાશે અને મેં મારા બગીચામાં તે વિશે નોંધ કરી છે તેનું પણ અભિમાન થાય છે, બોલો!)

~ 370ની સાથે આર્ટીકલ 35A કે જેમાં J&K ના નાગરિક્ત બાબતે વિચિત્ર જોગવાઇઓ કરવામાં આવી હતી તેને પણ નાબુદ કરવામાં આવી છે. આટલી વિચિત્ર જોગવાઇ એક આઝાદ સાર્વભૌમત્વ ધરાવતા દેશના કોઇપણ ખાસ ભાગમાં કઇ રીતે શક્ય બની હોઇ શકે એ મારી સમજની બહાર છે! (ઉપરાંત તેને આટલા વર્ષ સુધી નિભાવવામાં આવે ખરેખર નવાઇની વાત કહેવાય.)

370 and article 35a removed

~ લદાખના લોકોએ લાંબી લડત લડીને કેન્દ્રીય પ્રદેશ તરીકેનું સ્ટેટસ મેળવ્યું છે. જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલા આ પ્રદેશે કાશ્મીર તરફ ઝુકેલા રાજકારણના લીધે ઘણો અન્યાય સહન કર્યો છે. આશા છે કે તેમની વિશિષ્ટ ઓળખ અને સંસ્કૃતિ જાળવીને ત્યાં દેશભરના લોકો માટે આકર્ષણ વધારવામાં કેન્દ્ર સરકાર રસ દાખવશે. (યાદ આવ્યું કે, બુલેટ લઇને લદાખના દુર્ગમ ક્ષેત્રોમાં રખડવાની ઇચ્છા અધુરી છે.)

~ કાશ્મીર-લદાખ વિષયે આ પહેલા અન્ય માધ્યમોમાં ઘણું લખાઇ-ચર્ચાઇ ચુક્યું છે એટલે હું વિસ્તૄતમાં નોંધ કરવાનું ટાળુ છું. પણ એકવાત કહીશ કે આઝાદ ભારતના ઇતિહાસની એક મોટી ભુલ સુધારવામાં આવી અને આ સમયચક્રમાં હોવા બદલ હું વધારે આનંદ અનુભવું એ સ્વાભાવિક છે. 

~ આ જાહેરાત થઇ તે દિવસ અને તેના પછીના બે દિવસની સંસદની ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી તરીકે અમિતભાઇ શાહનો રુઆબ દેખવા લાયક હતો. લખી રાખજો કે મોદી પછી યોગીની વાત કરનારા લોકોએ હવેથી વચ્ચે શાહને ઉમેરવા પડશે. કોંગ્રેસ? એ તો ભુતકાળ લાગે છે. તેના અંતિમ દિવસો ગણાઇ રહ્યા છે. (વિનાશકાળે વિપરિત બુધ્ધિ! તેના કર્મ તેને લઇ ડુબશે.)

~ ખૈર, હવે વાત POK અને અક્સાઇ ચીન મેળવવાની છે. અક્સાઇ ચીન કરતાં પાકિસ્તાનના કબ્જામાં રહેલાં આપણાં કાશ્મીરના ભાગને મેળવવામાં ભારત સરકાર વધુ રસ દાખવશે એવું જણાય છે. (ભારત સરકારને મારા તરફથી આ મફત સલાહ છે કે, ચીનને હમણાં છંછેડવાથી જે-તે પ્રદેશ સિવાય બીજા ઘણાં ક્ષેત્રે લડવું પડશે; તો એવી ભુલ પણ કરવા જેવી નથી. -એવું મને લાગે છે.)

~ કાશ્મીરની વાત આવે એટલે પાકિસ્તાનનું નામ આવી જાય. જો કે હવે એ દિવસો પણ દુર નથી લાગતા કે જ્યારે આપણે કોઇ પડોશી દેશનું નામ લીધા વગર કાશ્મીર-જમ્મુ કે લદાખ વિશે વાત કરી શકીશું.

~ જમ્મુ અને કાશ્મીરને યુનીયન ટેરીટરી બનાવ્યાની જાહેરાતને હવે મહિનાથી વધુ સમય નીકળી ચુક્યો છે અને આજસુધી કંઇજ અજુગતું નથી બન્યું એ બતાવે છે કે સરવાળે બધું શાંતિના પક્ષમાં રહેશે. (શાંતિના લીધે કેટલાક પત્રકારો અને એકાદ ટીવી ચેનલ રિસાયેલા રહેતા હોય તો ભલે એમ જ રહેતા.)

~ ટ્વીટર ઉપર તો પાકિસ્તાન અને તેના નેતાઓ આજકાલ મજાક-મસ્તીનું કારણ બનેલા છે. તેમની ધમકીઓથી પણ હવે કોઇ ડરતું નથી! એમપણ બિચારાઓને સાંભળનાર આખી દુનિયામાં કોઇ નથી. એક ચીન છે અને એ પણ નામમાત્ર સાંભળે છે. (મુસ્લીમ દેશો મોદીના રાજમાં કાશ્મીર મુદ્દે ભારતના પક્ષને સમર્થન આપે એ પણ એક મોટી વાત છે!)

~ માણસાઇની નજરે વિચારીએ તો દુનિયાભરમાં પોતાના દેશના તિરસ્કારને સહન કરતી સામાન્ય પાકિસ્તાની પબ્લીક માટે થોડો દયાભાવ પણ જન્મે છે. પાકિસ્તાની નેતાઓ, કટ્ટર મુલ્લાઓ અને સેનાએ મોટાભાગના લોકોને પોતાની જીદના નશામાં બાંધી રાખ્યા છે. (જ્યારે લોકોનો એ ભ્રમ તુટશે ત્યારે તેમને તેમની સાચી સ્થિતિનો અહેસાસ થશે.)

~ આજે આટલું ઠીક લાગે છે. બીજી ઘણી ઘટનાઓ આજકાલમાં બની રહી છે જેને નવી અપડેટ્સમાં નોંધવામાં આવશે.

કાશ.. આમ જ ક્યારેક એવો દિવસ આવે કે સવારે ઉઠીને ટીવી ચાલું કરું અને જાહેરાત સંભળાય કે, “ભાઇઓ અને બહેનો, સમગ્ર દેશમાં આજથી કોમન સીવીલ કોડ લાગુ કરી દેવામાં આવ્યો છે!”

પોલીટીકલ અપડેટ્સ

પુલવામાં શહીદોને શ્રધ્ધાંજલી

~ નિયમિત અપડેટ્સમાં તો મારા વિશે લખાતું હોય છે, પણ આજે દેશની પોલીટીકલ અપડેટ્સ નોંધવાની ઇચ્છા થઇ છે. લગભગ મારી બીજી અપડેટ્સમાં આ વાત આવી જતી હોય છે પણ આજે સ્પેશીયલી એક જ વિષય અપડેટ માટે પસંદ કર્યો છે. (કદાચ નોંધવા માટે ઘણું છે એટલે એક જ મુદ્દા પર લખાય એટલું સારું ને.)

~ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ કૃર આતંકવાદી હુમલો કે જેમાં 40 થી વધુ સૈનિકોએ જીવ ગુમાવ્યો અને તેના પ્રત્યાઘાતરૂપે આપણો દેશ એક નવા અવતારમાં પ્રવેશ્યો. બદલો લેવાની ભાવના સંપુર્ણ દેશવાસીઓએ બતાવી અને નવાઇ એ લાગી કે આ હુમલા પછી કોઇપણ વાતે એક ન થતા રાજકીય પક્ષો એક જ ભાષામાં આતંકવાદ વિરુધ્ધ બોલ્યા! (ખૈર, આજની સ્થિતિ સૌ જાણે જ છે એટલે કંઇ કહેવું નથી. અફસોસ એ છે કે બધું હતું એમજ થઇ ગયું છે.)

~ ખબર નહી કેમ પણ મને એવું લાગે છે કે આપણે ઓવર-રીએક્ટીવ બની ગયા છીએ. દરેક બાબતે આપણે બધા (હા, એમાં હું પણ આવી ગયો) સખત પ્રત્યાઘાત બતાવીએ છીએ. શક્ય છે કે ‘હવે હદ આવી ગઇ‘ એવું સૌને લાગતું હશે અને ક્યારેક રીએક્શન પણ જરુરી હોય છે. (સાઇડટ્રેકઃ કોઇ-કોઇ ઘટના/વાત એવી હોય છે જેમાં ‘હદ એટલે શું?’ એ નક્કી જ ન કરી શકાય.)

~ અગાઉની સર્જીકલ સ્ટ્રાઇક બાદ આ વખતે ખરેખર યુધ્ધની આશંકાઓ વચ્ચે એકવાર ફરી ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓ ઉપર હુમલા કર્યા છે; જેમાં તેઓને ઘણું નુકશાન કર્યાની માહિતી દેશને આપવામાં આવી છે. યુધ્ધનો માહોલ હાલ પુરતો ઠંડો થયો જણાય છે પણ મને નથી લાગતું કે ભવિષ્ય એટલું સરળ હશે. (મારું મન કહે છે કે હજુ કંઇક મોટું તો થશે જ.)

~ અભિનંદનની આપ-લે પુર્ણ થઇ છે જે એક તરફ ભારત દેશની મજબુત સ્થિતિ બતાવે છે, તો કોઇને તે ઘટનાથી ઇમરાનખાનમાં શાંતિનો ચાહક દેખાય છે! જો કે તેમનો આ શાંતિ-અવતાર ભારત દ્વારા કરાયેલા દબાણ કે ભારે સૈન્ય કાર્યવાહીના ડરના કારણે પણ હોઇ શકે છે. એક સારી શરૂઆત તો છે પણ પાકિસ્તાન પર ક્યારેય ભરોસો ન કરાય તે યાદ રાખવા જેવી હકિકત છે. (પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાનખાન કેવા વ્યક્તિ છે તે તો હજુ ભવિષ્ય બતાવશે.)

~ ઇમરાન ખાન વઝીર-એ-આઝમ બન્યા પછી પાકિસ્તાનની સ્થિતિ સુધારવા પ્રત્યે તેની ભાવનાની પણ કદર કરવા જેવી છે. મને તેનામાં એવો લાચાર વ્યક્તિ દેખાય છે કે જે દુનિયામાં બદનામ થયેલા પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવા તો માગે છે, પણ પોતાના ઘરમાં રહેલા તોફાની સભ્યોને સંભાળવા તેની ક્ષમતાની બહાર છે. (મોટા આસન પર બિરાજમાન માણસ ક્યારેક મજબુર પણ હોય છે. – એવું બાબા બગીચાનંદ કહે છે.)

~ અગાઉની જેમ જ ફરીએકવાર સૈન્ય પુરાવાઓની માગવાની ફેશન દેશમાં ચાલી રહી છે. ખબર છે કે દેશની પબ્લીકના એક મોટા વર્ગમાં તેઓ વિશે ચોક્કસ અભિપ્રાય બંધાઇ જશે’ તો પણ મોદી પ્રત્યેના અંગત દ્રેશથી તેઓ અજાણરૂપે પોતાનું વ્યક્તિત્વ ઉજાગર કરી દે છે. (આ બધું તેઓ અજાણતા કરે છે કે જાણીજોઇને કરે છે એ કળવું મને મુશ્કેલ લાગે છે.)

~ મને ક્યારેક એમ લાગે કે આ બધું ક્યાંક પ્લાન થયેલું છે.. કે સેના દ્વારા હુમલો કર્યાની જાહેરાત કરવી – પુરાવા માગવા માટે વિરોધીઓને આવવા દેવા – તેમને સેના વિરોધી અને ખાસ તો દેશ વિરોધી તરીકે જાહેર કરવા/કરાવવા – સરકાર દ્વારા લોકોની સહાનુભૂતી મેળવવી – અને છેલ્લે મસ્ત ટાઇમ દેખીને પુરાવા રજુ કરવા. (મોદી સાહેબનું કંઇ ન કહેવાય ભાઇ! પણ અમે તો તેમની રાજકીય કળાના ફેન છીએ અને જ્યાં સુધી તેમનો વિકલ્પ ન મળે ત્યાં સુધી તેમના પક્ષે રહીશું.)

~ મોદી તેમના વિરોધીઓ ને કદથી વધુ પ્રમાણમાં વેતરવામાં માસ્ટરી ધરાવે છે, એવું વિપક્ષમાં પણ બધા જાણે છે. છતાંયે તેમને સામેથી પોતાનું કદ વેતરવાનો ચાન્સ આપીને વિપક્ષ દેશમાં એક જ વ્યક્તિની બોલબાલા વધારી દેશે. (દુઆ કરો કે કોઇ બીજા પણ શાણા માણસો રાજકારણમાં આવે અને એક તંદુરસ્ત હરિફાઇ રહે.)

~ મમતાબેન થી સુ.શ્રી.માયાવતીબેન સુધી બધા મહાગઠબંધનના નામે ભેગા તો થયા છે પણ અંગત એજન્ડાથી ચાલતા અલગ-અલગ પક્ષો એક થઇને પણ ખાસ ઉકાળી લે એવું જણાતું નથી. રાહુલભાઇ તો ડુબાડવા માટે જ બન્યા છે અને પેલા કેજરીવાલ તો…. છી.. છી… આ ભાઇનું તો નામ લેવા જેવું નથી. (બેવફા સોનમ ગુપ્તા કરતા પણ વધારે બેવફા નિકળ્યો આ નેતા.. મેરી તરફ સે ઉસકો ‘થૂ‘ હૈ।)

~ ગુડ ન્યુઝમાં એ છે કે ફાઇનલી અમદાવાદમાં મેટ્રો ચાલવાની શરૂ થઇ. એમ તો હજુ ઘણું કામ બાકી છે, પણ જેની શરૂઆત થઇ છે એ કાર્ય ક્યારેક પુરું પણ થશે એવા આશાવાદી બનીએ. અત્યારે તો મારું ધુળીયું નગર તેના કારણે એક્સ્ટ્રા ધુળમય લાગે છે. (મોદીજી લીલી ઝંડી બતાવવા આવ્યા એ ગમ્યું. આજકાલ ગુજરાતમાં ઘણાં પ્રોજેક્ટ્સની શરૂઆત કરતા નજરે પડે છે! હમ્મ્મ્મ્મ્મ.. ઇલેક્શન ટાઇમ.. યુ નૉ..)

~ ઉપરની બધી અપડેટ્સ થોડા દિવસ પહેલા લખાયેલી પડી હતી એટલે કોઇ આઉટડેટેડ લાગશે. લેટેસ્ટ ન્યુઝમાં એ છે કે ઇલેક્શનની તારીખ જાહેર થઇ ચુકી છે, તો હવે આપણાં માનનીય નેતાલોગ દ્વારા ચાલતો અને દેશ-વિદેશના ન્યુઝ ટ્રેડર્સ દ્વારા ફેલાવવામાં આવતો તુ-તુ મૈ-મૈ નો ખેલ વધારે ડેન્જર ઝોનમાં પ્રવેશ કરે છે. (સબકા અપના અપના હિડન એજન્ડા ભી હૈ દોસ્ત, લેકીન તુ સંભલ કે ચલના…બડે ધોકે હૈ ઇસ રાહ મેં!)

Loksabha Election 2019 - મારો બગીચો.કોમ

# જાણકારી માટેઃ ગુજરાતમાં ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ લોકસભા ૨૦૧૯ની ચુટણી માટે મતદાન થશે.


# આજે બાબા બગીચાનંદ પણ સામાજીક જવાબદારી સમજીને ૨૦૧૯ની લોકસભા ચુટણીના આ સમયકાળ દરમ્યાન ભારતવર્ષની પબ્લીકને ભાષા-વર્તન ઉપર સંયમ જાળવવા અપીલ કરે છે; અને સમજી-વિચારીને પોતાનો નેતા પસંદ કરવા તથા દરેક દેશવાસીને મતદાનમાં પોતાનો મત જરુર આપવાની અપીલ કરે છે. (જાણે આમ અપીલ કરવાથી કોઇ ફરક પડતો હોય છે!!..)