Apr’21 – અપડેટ્સ

ખરેખર અપડેટ્સ તો આ સમયે નિયમિત લખવા જેવી હતી. ખૈર, હજુયે બદલાયું હોય એવું નથી. સમય ગંભીર અને નાજુક છે. કોરોનાને લીધે ચારેતરફ ભય અને અનિશ્ચિતતા નો માહોલ છે.

ગયા વર્ષે જે પરિસ્થિતિ ની આશંકા મનમાં આવતી હતી તે સ્થિતિ વચ્ચે અત્યારે જીવી રહ્યા છીએ. કોરોના કહેરનો આ બીજો તબક્કો ખરેખર ભયાનક છે. મને એમ હતું કે આપણે જેમતેમ બચીને સરળતાથી નીકળી ગયા, પણ મહામારીનું અસલી રૂપ હવે દેખાઈ રહ્યું છે.

હું પોતાને બીમારીઓ માટે સરળ શિકાર તરીકે દેખું છું અને કોરોના બાબતે જેટલો બેફિકર છેલ્લા ત્રણ મહિનાઓમાં રહ્યો છું એ જોતાં મને પણ નવાઈ લાગી રહી છે કે અત્યાર સુધી ખબર નહિ કેમ હું બચી ગયો! હા, હોઈ શકે કે મને ચેપ લાગ્યો હોય પણ સામાન્ય અસરથી અજાણતા જ તેમાંથી બહાર નીકળી ગયો હોઉં અથવા તો ‘ઇમ્યુનીટી’ નો કોઇ કમાલ હોઈ શકે.

હોસ્પિટલમાં જગ્યા અને ઇન્જેક્શન-દવા ખૂટી રહ્યા છે. ટેસ્ટ કરાવવા પડાપડી થઈ રહી છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાંથી નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યાના સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે પોતાના સ્વજન ગુમાવતા લોકોને હું કોઈ જ ભાવ વગર જોઈ રહ્યો છું.

સમજાતું નથી કે પ્રયત્નથી કેટલો ફરક પડશે અને હું કેટલે સુધી કરી શકીશ. મન મજબૂત કરીને ફરી લાગી જઈએ તો પણ ફરી ક્યાંકથી કોઈ ઓળખીતા વ્યક્તિના મૃત્યુના સમાચાર મન ને ડગાવી દે છે. દવા-ઓક્સિજન કે હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી થયેલ મોત અસહ્ય હોય છે.

દરેક પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને જ્યાં મળે ત્યાં રસ્તો શોધવા હવાતિયાં મારી રહ્યા છે. જેને હજુ સુધી એવી પરિસ્થિતિમાંથી પસાર નથી થવું પડ્યું તે બધા લોકો માટે દુર થી આવી સ્થિતિને દેખવું કદાચ અતિરેકભર્યું પણ લાગતું હશે. જેણે ભોગવ્યું છે અથવા તો નિકટના વ્યક્તિને ગુમાવ્યું છે તે જ સાચું સમજી શકશે.

સરકારી આરોગ્ય વ્યવસ્થા, જે લગભગ થાકેલી અવસ્થામાં જ હોય છે, તે હવે મરી જવાની અવસ્થામાં છે. નેતાઓ અને અધિકારીઓ હવે પોતાનું નાક બચાવવા તેને જબરદસ્તી જીવાડી રહ્યા છે. આશા રાખીએ કે તે એક સમય સુધી જીવી જાય તો ઘણાં બીજા જીવી જશે.

લોકોને સરકાર પરથી લગભગ વિશ્વાસ ઉઠી ચૂક્યો છે. હા, હજુયે એવા લોકો છે જેઓને આવી પરિસ્થિતિમાં સરકાર પર પુરો અવિશ્વાસ નથી જાગ્યો અને એવાયે છે જેઓને હવે કોઈ ડોક્ટર પર પણ વિશ્વાસ નથી આવતો. સ્થિતિ એવી છે કે વિશ્વાસ ક્યાં અને કેટલો થઈ શકે તે નક્કી થઈ શકે એમ નથી. બધી જવાબદારી સરકાર પર નાખીને કે તેને ગાળો આપીને પબ્લીક તરીકે આપણે કંઇ જ સાબિત નથી કરી શકવાના અને સામે પક્ષે રાજકારણીઓ/અધિકારીઓ પણ ઘણી અવ્યવસ્થા માટે જવાબદાર છે.

હું હજુ અસમંજસ માં છું કે આ બધામાં સાચા કોણ અને ખોટા કોણ! વળી, એમાં સાચા ને કેટલાં સાચા કહેવા અને ખોટા ને કેટલાં ખોટા કહેવા એ પણ નક્કી થઈ શકે એમ નથી.

કોઈપણ સરકાર કે વ્યવસ્થા માટે અચાનક આવતી આવી મહામારીમાં પહોંચી વળવું અઘરું જ હોય છે. હંમેશા દરેક સ્થિતિ માટે તૈયાર રહેતી સંપુર્ણ વ્યવસ્થા શક્ય જ નથી. આપણે સારી સગવડની આશા રાખી શકીએ; પણ ઉત્તમ વ્યવસ્થાની અપેક્ષા રાખવી થોડી વધારે પડતી લાગે છે.

કેટલાક ને માત્ર મોદીની બંગાળ ‘રેલી’ઓ ગળામાં અટકી ગઈ છે તો કેટલાકને કેજરીવાલની જાહેરાતો પર પીન ચોંટેલી છે. કોઈને ચૂંટણી-સભાઓનો દોષ દેખાય છે તો કોઈને અમદાવાદનું ખીચોખીચ ભરેલું સ્ટેડિયમ હવે ખૂંચી રહ્યું છે. હા, કોઈ એમપણ કહે છે કે આપણે લોકો જ વધારે બેફિકર બની ગયા હતા. મને તો ઘણું સાચું લાગે છે અને તેના વિશે હવે વિચારવું થોડુંક બાલિશ પણ લાગે છે.

એવું નથી કે આપણો જ દેશ બીજી લહેરમાં ફસાયો હોય; દુનિયામાં આ સ્થિતિ બીજે પણ ઉભી થઈ છે અથવા તો થઈ રહી છે. અત્યારે વેક્સીનેશન એકમાત્ર ઉપાય છે. રસીકરણ જેટલું ઝડપથી થાય એ જ દુનિયાભરની સરકારોએ જોવાનું છે. મને તો કોરોના વાઇરસના બદલાતા વેરીએંટ્સથી એ સવાલ પણ થાય છે કે તે રસીને કેટલી કામયાબ રહેવા દેશે..

કેટલીક ભયાનકતા ખરેખર આશંકાથી પણ વધારે ભયાનક હોય છે. ચર્ચા કરવા સમય પછી મળશે અત્યારે તો થાય એટલું બચાવવા પ્રયત્ન કરીએ એના વગર છૂટકો નથી.

💔

દર્શિત – પ્રદર્શિત : 2

એક અજાણ્યા ઈમેલને જોઇ-વાંચીને અને હવે તેને જવાબ આપવાનું નક્કી કર્યું ત્યાં સુધીની વાત આગળની પોસ્ટમાં હતી. હવે આગળની વાત..

આમ તો તેમના ઇમેલ પછી મેં મોકલેલો તેનો આખો જવાબ અને તે પછી અમારા વચ્ચે થયેલ ઇમેલની આપ-લે, તે બધી વાતો અહી અક્ષરસઃ મુકવા જેવી છે; પણ તેમ કરવામાં કોણ-જાણે-કેમ મને તેમની આંખોની શરમ નડે છે. એમ તો અંગત જેવું એમાં કંઈ જ નથી. આજે તે ગમે ત્યાં હોય અને બની શકે કે મને વાંચતા પણ હોય! અથવા તો સાવ ભુલી ચુક્યા હોય તો પણ તેમના દ્વારા મને ઉદ્દેશીને લખાયેલા તે શબ્દો મારા સુધી રહે તે ઠીક લાગે છે. (એમપણ તે આખી વાત જોડવા જઈશ તો આ પોસ્ટ લાંબી થઈ શકે અને મૂળ મુદ્દાથી ભટકી જાય એવી સંભાવના પણ છે.)

ટુંકમાં કહું તો તે દિવસે મેં તેમણે જણાવેલ વાતોના અનુસંધાનમાં તથા મને એમ ઈમેલ મોકલવાનો આભાર વ્યક્ત કરતો એક જવાબ મોકલ્યો હતો. ત્યારે અગાઉ કરેલ મનોમંથન અનુસાર જાણી જોઈને મારા જવાબમાં નામ-નંબરવાળી વાત ટાળી દેવામાં આવી હતી. (એમ તો તેમની સાથે કોઈ જ અગાઉનો સંબંધ નહોતો અને કોઈ નવો સંબંધ બનાવવામાં મને રસ પણ નહોતો, તો પણ સીધી જ ‘ના’ કહેવામાં હું અચકાતો હતો.)

ત્યારબાદ સતત કેટલાક મહિનાઓ સુધી અમારી વચ્ચે ઈમેલની આપ-લે થતી રહેતી. જેમાં મુખ્યત્વે મારી જે-તે સમયની પોસ્ટના પ્રતિભાવ અને તે મુજબ તેમના અનુભવ કે વિચારો રહેતા. આ ઉપરાંત તે પત્રાચારમાં તેમના તરફથી વારંવાર મારા નામ-નંબર જાણવાની ઈચ્છા પણ વ્યક્ત થતી રહેતી. (હું તે એક ઇચ્છા સિવાય બીજી દરેક વાતનો નિયમિત પ્રતિભાવ આપતો હતો.)

એકવાર મને માત્ર “બગીચાનો માળી” તરીકે જ ઓળખવા વિશે આગ્રહથી કહ્યું હતું. ગુમનામ રહેવાનો મારો મુખ્ય નિયમ મને નડતો હતો. (સાચું કહું તો તેમની માંગણીમાં હવે વિનંતી કરતા હઠ વધુ જણાતી હતી.)

જ્યારે આપણે કોઈ સાથે નિયમિત વિચારો અને વાતો વહેંચીયે છીએ ત્યારે તેઓ આપોઆપ આપણી ઉપર હક જતાવતા થઈ જતા હોય છે. અજાણ્યાથી જાણીતાં અને ત્યારબાદ મિત્રતા જેવો ભાવ જાતે જ જન્મે છે; આપણે ન ઇચ્છવા છતાં બંધનમાં બંધાતા જઈએ છીએ. કોઈ કેટલું કહી શકે તેવો હક આપણે જ કોઇને આપતા હોઇએ છીએ.

છેવટે એક દિવસ એવો આવ્યો કે મારા માટે વાતને ટાળ્યા વગર એક નિર્ણય પર પહોંચવું જરૂરી થઈ ગયું. વારંવાર થતી વાતચિતમાં કોઈ એક વાતનો જવાબ ન આપવો હવે મને પણ ઠીક ન’તું લાગતું. મેં અમારા વચ્ચે વાતચિતના એ સંબંધનો અંત થવાની પુર્વધારણા સાથે જ તેમને સાફ શબ્દોમાં ‘ના’ કહેવાનું નક્કી કર્યું. (તેઓનું નારાજ થવું મને પણ સ્વાભાવિક જણાતું હતું; પરંતુ મારી પાસે બીજો વિકલ્પ નહોતો.)

સમય ઘણીવાર એવા વળાંક પર લાવીને મુકી દે છે કે તમારે ના-છૂટકે કઠોર નિર્ણય લેવા પડે છે. પરિણામ જાણતાં હોવા છતાંયે તમે મજબૂર હોવ છો. 

મારા એ નિર્ણય બાદ અમારા વચ્ચે બનેલ એક સાહજીક સંબંધ તુટવાનો ભય ચોક્કસ હતો. અહીયાં વધું નુકશાન કોણ ભોગવશે તે નક્કી કરવું મુશ્કેલ હતું. છેવટે તેમને ‘ના’ કહેવા માટે અને તેનું કારણ સમજાવવાના છેલ્લા પ્રયત્ન તરીકે મેં કેટલાક શબ્દો એક ઈમેલ દ્વારા મોકલી આપ્યા. જેનો મુખ્ય ભાગ નીચે વાંચી શકો છો…

[ . . . ] હું સહમત છું કે તમે મારું સાચું નામ જાણવા ઇચ્છો છો અને તે વાતને હું ટાળતો રહું છું. અહીયાં વાત ભરોસા કે વિશ્વાસની નથી, પણ પોતાની જાત સાથે કરેલ એક વાયદાની છે જે વિશે અગાઉ પણ આપણે વાત કરી ચુક્યા છીએ.
જ્યાં નામ આવે ત્યાંથી જ નામના મેળવવાની ઝંખના ઉભી થતી હોય છે. મારે પ્રસિધ્ધ થવું નથી. હું તેને લાયક પણ નથી. અહિયાં મારા શબ્દો જ મારી ઓળખાણ બને એવી મારી ઇચ્છા છે એટલે જ હું મારા નામ-ઓળખનો ઉલ્લેખ કરવાથી દૂર રહ્યો છું. બાકી તો, મારો ચહેરો ભલે ક્યાંય પ્રદર્શિત ન હોય;પણ જો તમે મારી દરેક વાતને ધ્યાનથી વાંચશો તો આપને સમજાઈ જશે કે હું દર્શિત છું.
આ સિવાય આપને વધુ કોઇ ઓળખ હું આપી શકું એમ નથી તો તે બદલ માફ કરશો. આપના આટલા આગ્રહ હોવા છતાં તે વિશે ના કહેવા મજબુર છું.
આશા છે કે આપના તરફથી આ વિષયે ફરી કોઈ આગ્રહ કરવામાં નહી આવે અને કારણ વગર બંધાયેલો આ સંબંધ એમ જ જળવાઇ રહેશે. [ . . . ]

ઉપરના ઇમેલનો સીધો કોઈ જવાબ ન આવ્યો પણ તેઓએ મારી નવી પોસ્ટમાં મને એક નામથી સંબોધન કરીને પ્રતિભાવ આપ્યો. તે પોસ્ટ પર બીજા લોકોએ પણ તે નામને જ પકડ્યું. (મને સમજાઈ ગયું હતું કે તે નામ ક્યાંથી જાગ્યું છે.)

મને ખબર પડી ગઈ કે સંદર્ભ આપવામાં જ નામ વિશે ગૂંચવાડો થઈ ગયો છે. મેં ત્યારે તે વિશે ચોખવટ ન કરવી જ યોગ્ય સમજી અને હું પોતાને અજાણતા જ એક ઓળખ આપી ગયો. (ચોખવટ ન કરવાના કારણમાં એમપણ હતું કે તે નામ એમ જ ક્યારેક ભુલાઇ જશે.)

જેમ પેલી પંદર લાખની એ વાત કોઈ અલગ સંદર્ભમાં કહેવાયેલી હતી પણ તેનો અર્થ કેટલાક લોકો દ્વારા અલગ રીતે કરવામાં આવ્યો અને કોઈ માટે કાયમનો તકિયા-કલામ બની ગયો; એમ વાત-વાતમાં હું દર્શિત થઈ ગયો!

તે વાતને આજે વર્ષો થઈ ચૂક્યા છે. હવે તે સંદર્ભથી મળેલ ઓળખ જ અહિયાં મારી ઓળખ બની ચૂકી છે. તે ઓળખ આપનાર વ્યક્તિ સાથે લાંબા સમયથી કોઈ સંપર્ક નથી, પરંતુ તેઓએ આપેલ નામ કાયમ બની ચૂક્યું છે. મે પોતે પણ તેને અહીયાં મારી ઓળખ તરીકે સ્વીકારી લીધું છે.

અસ્તુ.

દર્શિત – પ્રદર્શિત

આજકાલ પશ્ચિમ બંગાળમાં ચુટણીની સિઝન ચાલી રહી છે અને રાજકારણમાં રસ રાખતા લોકોને તેમાં રસ વધારે આવે એવો માહોલ ત્યાં જામેલો છે. તો, ચુટણીની જ એક વાતથી આજની વાતને યોગ્ય શરુઆત મળશે એવું મને લાગે છે. (સારી શરૂઆત સૌને ગમે!)

મોદી સાહેબે વર્ષ 2014માં પ્રચાર સમયે કોઈ સભામાં કહેલી પેલી 15 લાખ વાળી વાત યાદ છે? હા, યાદ જ હશે. ઘણાં તો આજેય રાહ જોઈ રહ્યા હશે! એમ તો આજે રાજકારણની કોઈ વાત નથી કરવાની; તે વાતની જેમ જ ભૂતકાળમાં બની ગયેલી એક નાનકડી ઘટના અને તેની આજ વિશે નોંધ કરવી છે. (જોયું! અમે નાનકડી વાત કહેવા માટે 15 લાખનો રેફરન્સ લીધો છે.)

ઓકે.. મૂળ ટ્રેક પર વાત કરીએ. લગભગ ઘણાં સમયથી હું આ વાતનો અલગ અલગ સમયે ઉલ્લેખ કરતો રહ્યો છું, પણ હવે લાગે છે કે થોડીક ચોખવટ જરૂરી છે. આમ તો અહિયાં ચોખવટ કરવી એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન હશે. કદાચ અહિયાં  પોતાની જાતને જાતે જ કુવામાં ધક્કો મારવા જેટલી આત્મઘાતી પુરવાર થઈ શકે છે. (જે થાય તે, એમપણ અહિયાં આટલો સમય રહ્યા પછી કોણ શું વિચારશે એ બાબતે વધુ હરખ-શોક જેવું રહ્યું નથી.)

અહીયાં એટલે કે મારા બગીચામાં માત્ર 25-30 પોસ્ટ ઉગાડી હતી એ સમયની આ વાત છે. પહેલાં ઘણીવાર બન્યું હતું એમ એ દિવસે પણ કોઈ આવ્યું હતું મારા આ બગીચામાં જેમણે બધી જ પોસ્ટ વાંચી લીધી હશે એવું આંકડાઓ જોઇને સમજાઈ જતું હતું. એ જ દિવસે બે પોસ્ટ પર તેમના પ્રતિભાવ અને ઇનબોક્ષમાં એક ઈમેલ હતો. (એ દિવસોમાં મારી નજર આંકડાઓ ઉપર ઘણી રહેતી.)

વળી એક સંદર્ભ સાથે મૂળ વાત પર આગળ વધીએ. વર્ષો પહેલાં દુરદર્શન પર એક કાર્યક્રમ આવતો જેમાં તેમને મળેલાં ઢગલો પત્રોમાંથી કોઇપણ પત્ર ઉઠાવીને તેને ટીવી પર વાંચતા અને તેમની પસંદના ગીતની ફરમાઇશ પુરી કરવામાં આવતી. પેલો ઇમેઇલ મેળવ્યો એ દિવસે હું એ જ સ્થિતિમાં હતો. મારા ઇનબોક્ષમાં આવેલ ઇમેલના નાનકડા ઢગલામાંથી એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઇ-પત્ર ખોલીને તેમના શબ્દો સાથે જોડાયેલ લાગણી અને આગ્રહભરી ફરમાઇશને જોઇ રહ્યો હતો. (વિચારી પણ રહ્યો હતો.)

કોમેન્ટ તો જે-તે પોસ્ટ સંદર્ભે હતી પણ ઇમેલ કોઈ જ સંદર્ભ વગર મને ઉદ્દેશીને જ મોકલાયેલો હતો. તેમણે મારી સાથે સીધી જ વાત કરવાનો હેતુ જણાવીને મારો મોબાઇલ નંબર અને સાથે-સાથે સાચું નામ-સરનામું જણાવવા આગ્રહ કર્યો હતો. (એમ તો આવી માંગણી કોઇએ પહેલીવાર કરી હોય એવું પણ નહોતું.)

મિત્રો-વાચકો કે મુલાકાતીઓના પ્રતિભાવ કે ઇમેલના જવાબ આપવાની મારી આળસના એ સમયગાળામાં માત્ર શબ્દોથી મારા બગીચા સાથે જોડાયેલા આવા વાચકો ક્યારે અલગ થઈ ગયા એ ખબર ન પડી. ક્યારેક એમ થાય કે મેં અજાણતાં જ કેટલાં બધાં લોકોને ટાળી દીધા હશે અને એવા બધા લોકો મારાથી કંટાળીને દુર પણ થઈ ગયા હશે! (આજેય જ્યારે એ સમયમાં જવાબ ન અપાયેલા શબ્દોને જોઉ છું તો મને મારી પોતાની જાત પ્રત્યે અસંતોષ થઈ આવે છે.)

મને તો હંમેશા ગુમનામ રહીને જ લખવું હતું. પોતાના માટે જ લખવું હતું. મારો સમય નોંધવો હતો, યાદો લખવી હતી અને વિચારો વહેંચવા હતા. અનામી રહેવાનો નિયમ મારા માટે અલગ કારણથી પણ જરુરી હતો અને જો આમ અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઈ-પત્રમાં મારા નામ-નંબર વહેંચવા લાગુ તો ગુમનામીનો એ જરુરી નિયમ માત્ર નિયમપોથી પુરતો રહી જાય. (હા, કોઇ તો એમ પણ કહેશે કે નિયમો તોડવા માટે જ બનતા હોય છે.)

પેલા ઈ-મેલમાં શબ્દો જેટલાં સંયમિત રીતે મુકાયેલા હતા અને આગ્રહ એટલો જ વધુ હતો કે જેને ટાળી ન શકાય; અથવા તો એમ સમજો કે તેમને તરત જ ચોખ્ખી ‘ના’ કહીને નિરાશ ન કરી શકાય એવું ત્યારે જણાતું હતું. તેથી જ લાંબા વિચાર બાદ અને થોડાક મનોમંથન બાદ તેનો જવાબ લખવાનું નક્કી કર્યું..

વધુ આવતા અંકે…