હે ભગવાન….

faith and prayer hand

– આ અગાઉ ઇશ્વર/પરમેશ્વર વિષયે એક પોસ્ટ લખવાની દુષ્ટતા કરીને ઘણાં મિત્રોને નારાજ કર્યા હતા અને કેટલાકને કાયમી ખોઈ પણ દીધા છે. તેમ છતાં આજે ફરી તે વિષયે લખવાનું ‘રિસ્ક‘ લઇ રહ્યો છું.

– હું કોઈ ધર્મ-દેવ-દેવી-ભગવાન-પરમેશ્વર-અલ્લાહ-ઇસુનો વિરોધી નથી. (એમપણ એવું કોઈ હોવાનું હું સ્વીકારતો નથી અને મારી નજરે જેનું અસ્તિત્વ જ ન હોય તેના વિરોધનો કોઇ મતલબ પણ નથી.)

– પરંતુ મહાન ધર્મ કે ઇશ્વર-અલ્લાહના નામે ચાલતા અતિરેક ભર્યા ખયાલો અને જીવન વિશેની જડ માન્યતાઓ પ્રત્યે મને સખત વાંધો છે. (જો કે આમ તો આ મારી અંગત સમસ્યા છે.)

– આ પોસ્ટની બધી વાતો કોઇપણ પુર્વવિચારણા વગર લખાયેલી અસ્તવ્યસ્ત છે; એટલે આપને વાચવામાં-સમજવામાં મુશ્કેલ લાગી શકે છે. આમ તો બધું એક પ્રતિભાવના ઉત્તર અને એક પોસ્ટના ભાગ રૂપે લખાયેલું છે એટલે જે કોઇ આગળની વાત જાણવા ઇચ્છે તેઓ આ કડી દ્વારા તે પોસ્ટ અને તેની નીચેની કૉમેન્ટ્સ જોઇ શકે છે : marobagicho.com/he-bhagwan/

– પહેલાં તો જે સંદર્ભમાં આ બધી ચિતરામણ કરી છે તે સજ્જનની કૉમેન્ટને પણ જોઇ લઇએ. તેના પછી પ્રતિભાવને સંદર્ભે મારી વાત છે;

[મુળ કોમેન્ટ જોવા આ તારીખ પર જાઓ – September 27, 2012]

rajeshpadaya says:

મારા બ્લોગના બગીચામાં આપનુ સ્વાગત છે ”’બગિયાના માળી જી’.

આપની એકદમ વાત સાચ્ચી છે આપને આ બધુ વિચિત્ર લાગે છે. પણ એ જ તો જીવનની લિલા છે.

બચપણમાં આપંણને ચોકલેટો-બિસ્કિટો-કેક-ફુગ્ગા-ચકડોળ, અને બગીચામાં રમવાનુ ખુબ ગમતુ હતુ પરંતુ આજે આપનો બાબો એક-બે મહિનાનો થયો છે એટલે આપને આપના બાબા સાથે રમવાનુ ગમતુ હશે,

એ પહેલા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તમારી પત્ની જોડે રમવાનુ ગમતુ હતુ (હજુ પણ ગમતુ જ હશે અને ગમતુ રહે એવી પ્રાર્થના પણ માતા-પિતા-ભાઈ-બહેન-સગાઓ અકળામણા ના લાગે એનાથી ચોક્કસ સતેજ રહેજો).

એટલે આપણા જીવનમાં અલગ અલગ પડાવે આપણો ગમો-અણગમો બદલાય છે, આપણા વિચારો અને સ્વભાવ પણ બદલાય છે, એટલે આપને વિનંતિ કરુ છુ કે આપનો અભિપ્રાય ભવિષ્યમાં સજ્જડ રીતે કાયમ રાખજો કેમ કે ઉપરવાળાની મોરપિંછ જેવી સુંવાળી લાકડીથી અનાડીઓ સુજ્ઞ બની જાય અને સુજ્ઞ જણાતા લોકો અનાડી બની જાય છે.

તમારા મનમાં શું ચાલી રહ્યુ એ મને શું તમારા પત્ની, માતા-પિતા, મિત્રો, અથવા જે કોઈ તમારી જોડે વ્યવહાર કરે છે તેઓને ખબર નથી પડતી એવી જ રીતે તેઓની ગડમથલ પણ તમને ખબર નહિ પડે.

પણ એવી અનેક અદશ્ય શક્તિઓ આપની અને સર્વ જીવીતોની ચારો તરફ ઘુમરાતી રહીને સર્વ જીવિતોને એની ઈચ્છા અનુસાર વળવાની કોશિશ કરતી રહેતી હોય છે એ આપને અને આપના બ્લોગ પર આવતા દરેક જ્ઞાનીઓને ખર પણ નહિ હોય. જેવી રીતે બાઈક પોતે પરચાલીત છે એવી આપણે પણ સ્વયંચાલીત નહિ પણ અલગ અલગ વિચારધારાઓ દ્વારા પરચાલીત છીએ.

પણ ૪૨-૪૩ વરસની ઉંમ્મરે મને જ્યારે ખબર પડી કે ‘પરમાત્મા’ જે અદશ્ય છે એ સર્વના મનની ખબર રાખતો હોય છે અને એને સર્વ લોકો પ્યારા છે પણ અમુક લોકોને ચુમવાની ઈચ્છા રાખવા છતાંય એ ‘દયાળુ’ ચુમી નથી શકતો કેમ કે કોઈને ચુંબન કરવા માટે એની રજામંદી હોવી જોઈએને,

એવી રીતે જેને પરમ શક્તિની જરુર નથી હોતી એને એ દયાલુ પરમેશ્વર જ્યાં સુધી એ વ્યક્તિ ઠેબા ખાઈ ને એની પાસે આવતો નથી ત્યાં સુધી ‘પરમ ઈશ્વર’ એને ચુમતો નથી…..

દરેક મનુષ્ય ડગલે પગલે ઠેબા ખાતો હોય છે, ગરમ (જવાન) ખુનને એ ઠેબા સમજાતા નથી પણ એ જ ગરમ ખુબ પોતાના કાળજાના ટુકડાને એક નાકડી છિંકનો ઠેબુ લાગતા જ ફાળ પાડી ઉઠે ત્યારે સર્વોપરી ઉપરવાળો પરમાત્મા યાદ આવે છે.

આઠ વરસ પહેલા અમારી ઓફિસમાં બે સુંદર યુવતીઓએ કુંવારી હતી ત્યાં સુધી મંદિરોમાં કે પુજાપાઠની ઘૃણા કરતી હતી પણ આજે લગ્ન પછી ચાર વરસના થાકી નાંખે એવા ઈંતજાર પછી સ્પેશ્યલ ટૅકનીકથી બન્નેને બાળકો છે જેને તંદુરસ્થ રાખવા માટે આજે મંદિરો અને ભજન-કિર્તનોમાં ટાંટીયા ઘસે છે.

હુ આપને સિંમ્પલી કહુ છુ કે ‘અદશ્ય શક્તિઓ’ તમારી-મારી અને અન્યો ઉપર રાજ કરે છે.”

rajeshpadaya

# ઉપરની કૉમેન્ટના પ્રતિભાવમાં મારી વાત;

– મને બધું એટલે વિચિત્ર લાગે છે કેમ કે તેની પાછળ રહેલા કડવા સત્ય અને છીછરી કહાનીઓ મને ઘણાં સમજાઇ ચુકયા છે અને તેને સમજવાનો તબક્કો હજુ પણ ચાલુ જ છે.

– અભિપ્રાય અને મનોદશા અનુભવો પ્રમાણે અને જીવનના દરેક તબક્કામાં બદલાતા રહે છે એટલે દરેક ઉંમરે દરેક વ્યક્તિના શોખ, રસ-રૂચી, જરૂરિયાત કે પ્રાથમિકતા અલગ-અલગ રહેવાની જ. આ શોખ કે પ્રાથમિકતા ઉપર કોઇનો કાબુ હોતો નથી. જેમ બાળક માટે ખોરાક એક પ્રાથમિક જરૂરિયાત છે તેમ પુખ્ત વ્યક્તિ માટે પૈસો કે કુટુંબની સલામતી પ્રાથમિક જરૂરિયાત હોઇ શકે. આતંકવાદી જયારે ધર્માંધ હોય ત્યારે તેને માટે માત્ર દુશ્મનનો વિનાશ જ પ્રાથમિકતા હોઇ શકે છે!!

– હું જે વિચારું છું તેની ઉપર ત્યાં સુધી કાયમ રહીશ જ્યાં સુધી મને તેની વિરુધ્ધ કોઇ નવું સત્ય ન મળે પણ તેનો અર્થ એ નથી કે હું કોઇ દુઃખભરી અવસ્થા આવતા ભગવાનના પગે પડી જઇશ. (એટલો કમજોર હું તો નથી જ.)

– કોઇના મનને જાણવું કયારેય સંભવ નથી. હા, તે અંગે અંદાજ લગાવી શકાય. બાઇક એટલે પરચાલિત છે કેમ કે તેનું પોતાનું અસ્તિત્વ કોઇની મરજીને આધારિત છે. બાઇકની પોતાની કોઇ વિચાર કે તર્કશક્તિ હોતી નથી અને અહી મુળ વાત તો એ છે કે, એક નિર્જીવ બાઇક સાથે સજીવ માણસની તુલના કરવી કોઇ પણ રીતે યોગ્ય નથી. માણસ પેટ્રોલથી ચાલતી કે મશીનોથી બનેલી કોઇ સૉલિડ ચીજ નથી કે જેને કોઇ તેલ પુરાવીને ચાલુ કરશે તો જ ચાલશે. માણસ એક બહુકોષિય સજીવ છે. તેની પાસે રહેલી વિચારવાની અને તેને અનુરૂપ કાર્ય કરવાની શક્તિ ઉત્ક્રાંતિની બલિહારી છે અને તે સંપુર્ણરીતે કુદરતી છે. તે કોઇને આધારિત નથી કે કોઇની દેન પણ નથી.

– તમે કહો છે કે,

“એવી રીતે જેને પરમ શક્તિની જરુર નથી હોતી એને એ દયાલુ પરમેશ્વર જ્યાં સુધી એ વ્યક્તિ ઠેબા ખાઈ ને એની પાસે આવતો નથી ત્યાં સુધી ‘પરમ ઈશ્વર’ એને ચુમતો નથી…”

~ આનો અર્થ એ થાય છે કે પરમેશ્વર એક એવો ક્રુર વ્યક્તિ છે જે પોતાની મહાનતા સાબિત કરવા માટે પહેલા લોકોને ત્રાસ આપે છે અને પછી તે લોકો ત્રાસીને તેની પાસે આવે એવી ઇચ્છા રાખે છે. અહીયા તો પરમેશ્વરની આગળ ‘દયાળું’ લખવાનો કોઇ મતલબ જ નથી રહેતો સાહેબ. દયાળું તો ત્યારે કહેવાય જે વ્યક્તિને ઠેબા ખાતા પહેલા જ ચુમી લે. પીડા આપ્યા પછી શરણે આવેલાને દયા કરવી એ તો શેતાનનું કામ કહેવાય.

– ભુતકાળમાં ઘણાં ઘમંડી રાજાઓએ પોતાના ધર્મ/રાજ્યના પ્રચાર માટે આવી રીતરસમો અપનાવેલી જ છે. જેઓ શરણે નથી આવ્યા તેવા લાખોને પીડાઓ આપીને કમોતે મારી નાખવામાં આવ્યા છે અને જે વ્યક્તિ ત્રાસીને જે તે રાજાના શરણે ગયા છે તેવા લોકોને આ ક્રુર રાજાઓએ જીવનદાન આપ્યાના કિસ્સા ઇતિહાસમાં પણ ઠેર-ઠેર જોવા મળશે. તો શું તે ક્રુર રાજાઓને હવેથી દયાળું કહીશું?


# આપણે એક નાનકડું ઉદાહરણ લઇએ;

જંગલમાં એક વાઘ હરણનો શિકાર કરે છે અને તેને નિર્દયતાથી ફાડીને ખાઇ જાય છે.

હવે જો આપ આ ઘટનાને પરમેશ્વરથી સંચાલિત હોવાનું કહેતા હોવ, તો મને કેટલાક પ્રશ્નોના જવાબ આપો;

  • શું અહી પરશ્વરે હરણ સાથે ક્રુરતા ન કરી કહેવાય?
  • દયાળું હોત તો તે હરણનો શિકાર થવા દે?
  • કે પછી પરશ્વરમાં એટલી તાકાત નથી કે તે વાઘના હુમલાથી હરણને બચાવી શકે?
  • અને એમ જ હોય તો પરમેશ્વરને સર્વશક્તિમાન કેમ કહી શકાય?
  • જો હરણ પરમેશ્વર સંચાલિત હોય તો પરમેશ્વરે તેને પહેલા જ ભાગી જવાની અક્કલ કેમ ન આપી?
  • તેનો મતલબ પરમેશ્વર પણ ઇચ્છતા હતા કે હરણનો શિકાર થઇ જાય?
  • જો હરણનો શિકાર જ કરાવવો હતો તો પછી તેને જન્મ જ કેમ આપ્યો?
  • માત્ર કોઇનો શિકાર બનવા માટે? પીડા ભોગવવા માટે?
  • અને જો તે માટે જ જન્મ આપ્યો હોય તો પરમેશ્વરની નિયતને કેવી આંકી શકાય?
  • શું પરમેશ્વરને તે સમયે હરણ કરતા વાઘના ખોરાકની વધારે ચિંતા હતી?
  • એટલે કે પરમેશ્વરે તેના જ બનાવેલા બે પ્રાણીઓ પ્રત્યે ભેદભાવ ભરી નિતી અનુસરે છે?
  • શું તેમને હરણ વ્હાલા નથી? કે વાઘ વધુ વહાલો છે?
  • અને વાઘને એવો કેમ બનાવ્યો કે તેણે ખોરાક માટે નિર્દોષ જાનવરને મારવા પડે?
  • શું પરમેશ્વર જંગલના પ્રાણીઓને અંદરોઅંદર લડાવી-મરાવીને ખુશ થાય છે?
  • તેમને આવી ઘટનાથી કોઇ દુઃખ નથી થતું? આ આખી ઘટના પાછળ તેમનો મુળ આશય શું હોઇ શકે?

એક નાનકડી ઘટનાને પરમેશ્વરની આધીનતાની નજરે જોવાથી મારા મનમાં આવા કેટલાયે સવાલો ઉઠે છે.

# આ સિવાય મને સતાવતા અન્ય સવાલોનો એક નાનકડો ભાગ;

– જો બધું પરમેશ્વરની મરજી પ્રમાણે થાય છે તો આખા દેશમાં પોલિસની કે કાયદાઓ શું જરૂર છે? બધું જ પરમેશ્વરની ઇચ્છા મુજબ થતું હોય તો આ દુનિયામાં દરેક દેશને સુરક્ષા માટે લશ્કરની જરૂર કેમ પડે છે? શું તે દરેકને પરમેશ્વરની તાકાત ઉપર ભરોષો નથી?

– પડોશી પાકિસ્તાન ભારતના દરેક શહેરોને ખતમ કરી નાખે તો તેમાં પણ પરમેશ્વરની મરજી જ હોઇ શકે ને? અને જો તેમાં પરમેશ્વરની મરજી હોય તો પછી તે દરેક હુમલાઓમાં માર્યા ગયેલા લાખો લોકોની મોત પણ પરમેશ્વરની મરજી જ ગણાશે કે પછી પાછલા જન્મના કર્મોના ફળ નામનું કોઇ બહાનું સામે ધરશો?

– જો કર્મનો સિધ્ધાંત એટલો મજબુત છે તો મને સમજાવો કે, શું પરમેશ્વરની ન્યાય સિસ્ટમ આપણી ન્યાયપાલિકા જેટલી જ બેકાર છે કે એક વ્યક્તિએ આગળના જન્મમાં કરેલા પાપની સજા છેક બીજા જન્મમાં આપવામાં આવે? સર્વશક્તિમાન પરમેશ્વર કોઇ દુષ્ટને દંડ દેવામાં આટલો સમય કેમ લે છે?

– કોઇ વ્યક્તિ આ રીતે પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી કોઇ દંડની સજા ભોગવી રહી છે તો તેને એ ખ્યાલ પણ નથી હોતો કે તે કયા જન્મ કે કર્મની સજા ભોગવી રહ્યો છે તો પછી આવી સજા આપવામાં પરમેશ્વરનો હેતુ શું હોઇ શકે? જે વ્યક્તિને તેના ગુનાની જ ખબર જ ન હોય તો તેણે આવતા જન્મમાં શું સુધારવું એ કેમ ખબર પડશે? કે પછીપરમેશ્વર તેની મરજી મુજબ ગમે તેમ ચલાવી શકે એટલે બધુ ભુલાવી દે છે?

– તમે માનો છો કે આ દુનિયામાં દરેક વ્યક્તિની ઇચ્છા અને કર્મ પાછળ પરમેશ્વરની જ ઇચ્છા હોય છે. કોઇપણ વ્યક્તિ પરમેશ્વરની ઇચ્છા વિરુધ્ધ એક પાંદડુંયે હલાવી શકે એમ નથી એ પણ આપ સ્વીકારો છો ને? મતલબ કે આ દુનિયામાં પરમેશ્વર જ્યારે કોઇ દુષ્ટને સજા આપે છે તો તેની દુષ્ટતામાં તેમની ઇચ્છા પણ સમાયેલી હોવી જોઇએ ને? કેમ કે પરમેશ્વરની ઇચ્છા વિરુધ્ધ દુષ્ટતા થવી શક્ય જ નથી. તો શું તે દુષ્ટતા માટે પરમેશ્વર પોતાને સજા કરશે? કે પછી પરમેશ્વર પાસે પોતાની માટે કોઇ સજા નથી? કે પછી પરમેશ્વર બધાનો માલિક છે એટલે તે જે કંઇ પણ કરે તેને ‘લીલા’ કહીને ચલાવી લેવાનું? શું આપણે બધા પરમેશ્વરના મનોરંજન માટે છીએ? શું પરમેશ્વર પોતાના મનોરંજન માટે આપણને લડાવે-ઝગડાવે-મરાવે છે?

– જો આપણી લડાઇ-ઝગડા-પ્રેમ કે બીજા દરેક કાર્યો ઈશ્વરની જ દેન હોય તો ડાહ્યી-મીઠી વાતો કરતા આપણાં સાધુ-સંતો-પયગંબર-બાબાઓ-પાદરીઓ શું જરૂર છે? જો તેમની વાતો સાંભળવાથી કે અનુસરવાથી કોઇ ફર્ક ન પડવાનો હોય અને ઈશ્વર-અલ્લાહની ઇચ્છા મુજબ જ બધું થવાનું હોય તો ચર્ચ-મંદિર-મસ્જીદની પણ શું જરૂર છે? તો શું હવે તમે તેને તોડી નાખવામાં સંમત થશો? ધાર્મિક પુસ્તકોને સળગાવી દેવા રાજી થશો?

– અદાલત-કાયદા દ્વારા સમાજમાં રહેલા ગુનેગારોને સજા આપવામાં આવે છે; તો શું તમે તેને યોગ્ય નથી ગણતા? જો તમને આ યોગ્ય લાગે છે તો તમને અહી એવું કેમ નથી લાગતું કે સજા કરવી એ તો પરમેશ્વરનું કાર્ય છે. પરમેશ્વરની આ સત્તામાં અદાલતો દ્વારા વિક્ષેપ કરવામાં આવે છે છતાંય તમે તેને કેમ ચલાવી લો છો? શું તમે હવે એમ કહેશો કે કોર્ટનો નિર્ણય એ પરમેશ્વરની મરજીને આધારિત છે? અને જો એમ જ હોય તો ન્યાયપાલિકામાં જે ભ્રષ્ટાચાર થાય છે તેમાં પણ પરમેશ્વરની મરજી હોવી જોઇએ? હજારોને મારનાર ગુનેગારને કોર્ટ નિર્દોષ છોડી દે છે તેમાં પણ પરમેશ્વરની મરજી ગણશો? કે પછી તે ગુનેગારને અત્યારે દંડ આપવામાં પરમેશ્વરનો મુડ નથી તેમ સમજવું? શું તે ગુનેગારને નવા જનમમાં દંડ આપવા આવશે કે પરમેશ્વર તેના કોઇ જુના પુણ્યોના કારણે છોડી દેશે?

– પરમેશ્વર મારી-તમારી ઉપર રાજ કરે છે તેનો મતલબ આપણે બધા તેમના ગુલામો ગણાઇએ? શું પરમેશ્વરને આવી ગુલામી પ્રથા પસંદ છે? ભારત ઉપરાંત વિશ્વમાં ઘણાં દેશોમાં કાયદા દ્રારા ગુલામીપ્રથા નાબુદ કરવામાં આવી છે, તો શું તે કાયદા અનુસાર દરેકને ગુલામ ગણનાર પરમેશ્વરને દોષી માની શકાય? તેમની ઉપર કોર્ટ-કેસ કરી શકાય? અને સર્વશક્તિમાન પરમેશ્વર પોતાના જ ગુલામો દ્વારા બનાવેલા કાયદાને કેમ સહન કરી લે છે? શું આવા નિયમો બનાવનાર દેશ કે વ્યક્તિઓને પરમેશ્વર જાતે દંડ આપવા આવશે?

– તમે ચાહે કંઇ પણ કરો આખરે તો પરમેશ્વરની મરજી પ્રમાણે જ થવાનુ છે તો નોકરી-ધંધો કરવાની શું જરૂર છે? બાળકોને ભણવાના નામે આટલો બધો માનસિક ત્રાસ આપવાની શું જરૂર છે? કે પછી પરમેશ્વર જ ઇચ્છે છે કે દરેક માણસો ત્રાસમાંથી પસાર થાય અને દરેકને દુઃખ પડે એવી તેમની ઇચ્છા છે? કે પછી દરેક લોકોને દુઃખમાં રાખીને પોતાની મહાનતા સાબિત કરવું તેમને ગમે છે? શું પરમેશ્વર સ્વાર્થી છે? તેમને બધા પુજે એવું પરમેશ્વર પોતે જ ઇચ્છે છે?

– શું પોતાને પુજવાની વિધી, શ્લોક કે કલમા-આયાતો પરમેશ્વરે જાતે બનાવ્યા છે? કે પછી પરમેશ્વરને પુજવાની વિધિ કે પ્રાર્થના લખનારા પરમેશ્વરના એજન્ટ હતા? પરમેશ્વરને પ્રાર્થના ન કરો તો શું તે સાંભળતા નથી? શું ખાસ પ્રકારની પુજા ન કરીએ તો પરમેશ્વરને નથી ગમતુ? શું પરમેશ્વરને પુજવા માટે જે-તે જગ્યાએ જવું જરૂરી છે? શું પરમેશ્વરને સંડાસ-બાથરૂમમાં ન રાખી શકાય? શું પરમેશ્વર ગંદા થઇ જાય છે? શું પરમેશ્વર સાથે આવું વર્તન કરીએ તો તેમને ખોટું લાગે છે? જો પરમેશ્વર દયાળુ-માયાળું હોય અને બધાને માફ કરી દેતા હોય તો તેમને ગાળો આપનાર કે તેમની સાથે ગેરવર્તન કરનારને પણ માફ કરતા જ હશે ને? તો પછી તેઓ સજા કોને કરે છે? સજા કરતી વખતે તેઓ દયાળુ નથી હોતા?

– જો પરમેશ્વર માંગ્યા વગર આપી દે છે અને ભાવનો ભુખ્યો છે તો પુજા-પાટ કેમ કરવા પડે છે? ભગવાનના નામે ગુંડાઓને દાન આપવાનો કોઇ મતલબ ખરો? પરમેશ્વરને માનનારાઓમાં સૌથી મોટો વર્ગ ‘ચીટર’લોકોનો છે તો પરમેશ્વરને નથી લાગતુ કે તેમણે આત્મખોજ કરવી જોઇએ અને તેમની નીતિ બદલવી જોઇએ? કે પછી તે પરમેશ્વર છે એટલે તેમને સલાહ ન આપી શકાય; નહી તો તેમને વળી ખોટુ લાગી જશે. ગુલામોને સલાહ આપવાનો હક તો ન જ હોય એમ માનીને તે જે કરે એ બધું જ સ્વીકારી લેવાનું?

– તમારા ઘરમાં દરવાજા-લોકર કેમ રાખો છો? તમે ઘરની બહાર જતી વખતે ઘરને તાળુ કેમ લગાવો છો? તમે પરમેશ્વરમાં આટલી બધી આસ્થા ધરાવો છો અને લગભગ દરેક હવન-કર્મકાંડ-હજ-યાત્રા કરો છો તો તેના બદલામાં પરમેશ્વર તમારા ઘરની રક્ષા તો કરી શકે છે ને? અને બધુ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે અને નસીબ મુજબ થતું હોય છે તો તમે તેમની ઉપર કેમ ભરોસો રાખતા નથી? તેનો મતલબ તમારી શ્રધ્ધામાં ખોટ છે. શું તમને પરમેશ્વર પર શંકા છે? શું તમે તમારા પૈસા કે પરિવાર માટે પરમેશ્વરના ભરોસે રહેવાનુ પસંદ નહી કરો?

– હું અહી પરમેશ્વર વિશે આવુ બધું લખું છું તો તમે મારો વિરોધ કેમ કરો છો? મારું આ કાર્ય પણ પરમેશ્વરની મરજીથી જ થતું હોવું જોઇએ ને? શું તમે પરમેશ્વરની આ મરજીને સ્વીકારશો નહી? બની શકે કે પરમેશ્વર પોતે જ મારા દ્વારા તેમની બદનામી થાય એવું ઇચ્છતા હોય!! અને જો હું પરમેશ્વરની ઈચ્છાને ન માનતો હોઉ તો તે પોતે મને આવીને દંડ આપશે એવો તમને વિશ્વાસ છે ને? તો પછી મારી આવી વાતોથી આપને ગુસ્સો કેમ આવે છે? પરમેશ્વરને પોતે દંડ દેવા દો, તેમના કાર્યમાં તમે કેમ ખલેલ કરો છો?

ઉપરના દરેક સવાલમાં ‘પરમેશ્વર’ની જગ્યાએ તમે ઇશ્વર, અલ્લાહ, ઇસુ, ભગવાન, માતાજી, દેવી, પીર, સાધુ, સંત કે એવી કોઇ પણ પુજનીય વ્યક્તિને મુકી શકો છો જેમના દ્વારા આ જગત કે તેના દરેક પ્રાણીઓના સંચાલન-કર્તા હોવાનો દાવો કરાય છે.

# હું કયારેક આવી કોઇ સર્વશક્તિમાન વ્યક્તિ કે પરમેશ્વર-ભગવાનને સ્વીકારી નહી શકું તેના કારણોમાં ઉપરના સવાલો છે, જે મે અનુભવેલા થોડા-ઘણાં અનુભવો પછી પરમેશ્વર અંગે મારી અંદરથી ઉદભવેતા સવાલોનો માત્ર એક નાનકડો અંશ છે.


# શરુઆતમાં જેઓનો પ્રતિભાવ જણાવ્યો છે તે સજ્જન શ્રી રાજેશભાઇ પડાયા તેમના બ્લૉગમાં લખે છે કે;

“૪૨ વરસે મને મુર્તી પુજા છોડી પરમેશ્વરને પામવાની ઈચ્છા થઈ અને મેં ખોળગત કરવાની શરુઆત કરી. પ્રભુ યીશુ કહે છે “હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી.” અને મને પણ તે સત્ય લાગે છે કે બીજા બધા જુઠ્ઠા છે કેમકે તેઓ પવિત્ર નથીજ કારણ કે કોઈ જુઠો, કોઈ ખૂની છે, કોઈ માયાવી, કોઈ જુઠ્ઠુ બોલનારો છે, બીડી, તંબાકુ, ભાંગ તો વળી પાછો પોતાના પુજ્યને ચડે છે એટલે તેઓ પણ એ પાન, તંબાકુ, બીડી, ભાંગ, નશો વગેરે પીવા જોઈએ જ, વગેરે વગેરે.”

# શ્રી રાજેશભાઇની આ વાત પર પણ મને એવા પ્રશ્નો થાય છે કે;

  • શું હવે બીજા દેવોમાં કોઇ પાવર નથી રહ્યો? માત્ર પ્રભુ યીશુ જ બધુ છે? મતલબ કે હનુમાનજી, શંકર, રામ, કૃષ્ણ, અલ્લાહ, પયગંબરને પુજનારાને કોઇ ફાયદો થાય એમ નથી?
  • શું યીશુ એટલા પાવરફુલ છે કે તેમની સામે કોઇનું કંઇ ચાલે એમ નથી?
  • શું પોતાના દેવને મહાન બતાવવા બીજા બધાને નાનકડા જતાવવા એવું યીશુ શીખવે છે?
  • શું યીશુ એ જાતે આવીને કહ્યું છે કે બીજા બધા ભગવાનો તેમના કરતા તુચ્છ છે?
  • શું કોઇ એક મુર્તી કે વ્યક્તિની આધીનતા આટલી હદે સ્વીકારી લેવી એ એક માનસિક રોગ નથી જણાતો?

– ઉપરના દરેક સવાલોના તાર્કિક જવાબની આશા કોઇ ભક્તો પાસેથી રાખવી આમ તો વ્યર્થ છે છતાંયે કોઇ સમર્થ સજ્જન પોતાની સભ્ય ભાષામાં જવાબ આપવા કે મને સમજવાવા ઇચ્છે તો તેમના પ્રયાસ આવકાર્ય છે અને આવા સવાલો બીજા કોઇને પણ પજવતા હોય અને તે છતાંયે તમે પેલા કહેવાતા દયાળુ પરમેશ્વરની આધીનતા સ્વીકારતા હોવ તો તમારી શ્રધ્ધા ખરેખર વંદનને પાત્ર છે! આપનો પરમેશ્વર, ભગવાન, અલ્લાહ, ઇસુ કે અન્ય જે કોઇને આપ આપના માલિક ગણતા હોવ તે આપને શાંતિ બક્ષે એવી આશા.

– અસ્તુ.

🙏

તો ઔર ભી દુઃખ હોતા હૈ…

– જયારે તમે કોઇને તમારા હમદર્દ માની ને પુરા દિલથી અંગત વાતો જણાવતા હો અને તે વ્યક્તિ અકળ કારણોસર દગો દે ત્યારે દુઃખ થાય તે સ્વાભાવિક છે. (પણ.. આટ-આટલા ચેતીને ચાલવા છતાંયે હું ખાડામાં પડયો તેનું વધારે દુઃખ થાય છે.)

– ના, કોઇએ કંઇ કહ્યુ નથી. પણ કોઇએ એવુ કંઇક કર્યું છે જેનાથી તે મિત્ર પરનો વિશ્વાસ ડગી ગયો છે.

– તેના આ કૃત્યનું કોઇ ખાસ કારણ પણ હોઇ શકે છે. (બની શકે છે કે તેના દ્વારા થયેલ કૃત્યની તેને ખબર જ ન હોય અથવા મને ખબર પડી ગઇ છે કે મને ખબર પડી જશે તેનો તેને અંદાજ ન હોય.)

– દુરની વ્યક્તિ કે સામાન્ય મિત્ર કંઇ કરે તો કોઇ ફેર ન પડે પણ અંગત બનેલ દોસ્ત સંબંધોમાં અચાનક અંતર બનાવવા લાગે ત્યારે મન ગુંચવાય છે. (કોઇ મતભેદ કે મનભેદ બન્યા હોય ત્યારે વાત સમજી શકાય. પણ…. આમ, સાવ અચાનક જ… )

– આજે K3G માં યશવર્ધન રાયચંદ1 અને તેની પત્ની નંદીની વચ્ચેનો એક સંવાદ યાદ આવે છે…

नंदीनी : “अपने जब दुर चले जाते है तो दुख होता है।”
यशवर्धन : “अपने जब दुरीयां बढा लेते है तो और भी दुख होता है।”

– આજે તે સંવાદમાં છુપાયેલી ગંભીરતા સમજાય છે… આખી ઘટના વર્ણવીને વધુ દુઃખી થવાનો કોઇ મતલબ નથી એટલે જીવનનો એક કડવો અનુભવ મેળવીને આગળ વધતા રહેવામાં ભલાઇ છે…

– “ચેતતો નર સદા સુખી” ~ આ જુની કહેવત ફરીથી ગોખવી પડશે.

😢