Book: Romance on facebook

Romance on facebook By Amrita Priya

પુસ્તકનું નામઃ Romance on facebook
લેખીકા: Amrita Priya

આ પુસ્તકનું ટાઇટલ વાંચીને આ નવલિકામાં લગભગ દરેકને રસ પડશે એમ લાગે છે! કેમ કે આ ટાઇટલમાં જ એવા શબ્દો છે કે દરેક ઉંમરની વ્યક્તિને તે વિશે જાણવાની સ્વાભાવિક જીજ્ઞાસા હોય જ!

આપ આ પુસ્તકના નામ ઉપરથી વધુ કંઇ વિચારો તે પહેલા એક જરૂરી ચોખવટ કરી દઉ; એકબીજા વચ્ચે સાત સમંદરનું અંતર ધરાવતા આ પુસ્તકના નાયક અને નાયિકા લગભગ 39-40 વર્ષના છે અને અલગ-અલગ વ્યક્તિ સાથે પરિણિત છે. સુખી છે. રોમાન્સનો અર્થ અહી મેસેજીસની આપ-લે સુધી જ મર્યાદિત છે. ચોખવટ પુરી.

સિધ્ધાર્થ અને ગીતી (ઉર્ફે ગીતાંજલી); બાળપણથી સમજણની આરે પહોંચેલી યુવાની સુધી એકબીજાની પડોશમાં રહેતા અને એકબીજાને પસંદ કરતા બે વ્યક્તિ. જેઓ તેમના સમયના સામાજીક વાતાવરણ/સંસ્કારના કારણે એકબીજા સાથે સામાન્ય વાત કરવાની કે આંખો મેળવવાની હિંમત પણ કેળવી નહોતા શક્યા.

જ્યારે આજે તો સમય તેમને એકબીજાથી ઘણો દુર કરી ચુક્યો છે અને બંને પરસ્પર લાગણીઓ પણ ભુલાવી ચુક્યા છે. હવે ૧૯ વર્ષ બાદ ફેસબુકના માધ્યમ દ્વારા તેઓ ફરી એકવાર પરિચયમાં આવે છે અને શરૂઆત થાય છે વાતચિતની, એક જુના સમયની, ભુલાયેલા એક સંબંધની, યાદોને તાજા કરવાની.. પ્રેમ અને રોમાન્સની..

સમય, સ્થળ અને સ્થિતિ સંપુર્ણ બદલાઇ ચુક્યા છે. વર્ષો પહેલા તેમની વચ્ચે કંઇક હતું જે આજસુધી બહાર આવ્યું ન’તું, તે બધી લાગણીઓ હવે બંને અનુભવી રહ્યા છે. ઔપચારિકતા સાથે શરૂ થયેલી વાતચીત અણધાર્યા વળાંક પર આવી પહોચી છે.

પુસ્તકમાં સંવાદ અને સંપર્કનું મુખ્ય માધ્યમ, ફેસબુક, તેના હોવાનો અહેસાસ પણ કરાવ્યા રાખે છે.

મેસેજના પ્રત્યુત્તરમાં કરવામાં આવતો મેસેજ અને જે-તે સવાલ-જવાબ પાછળની માનસિક સ્થિતિ તથા પાત્રોના મનમાં ઉઠતી લાગણીઓ ઘણી ઉંડાણપુર્વક ઝીલવામાં આવી છે. જો કે આ પુસ્તક એક લેખિકા દ્વારા લખવામાં આવ્યું હોવાથી તેમાં સ્ત્રી પક્ષની લાગણીઓ વધુ સચોટ અને ઉંડાણથી આલેખવામાં આવી છે. લેખિકાએ પુસ્તકમાં ગીતીની સ્ત્રી સહજ ચિંતાઓ સાથે મેસેજની આપ-લેમાં સીડની પુરૂષ સહજ બેફિકરાઇ પણ સુંદર રીતે રજુ કરી છે.

ઘણાં જુના સમયની સામાજીક વ્યવસ્થા અને વાતાવરણની અસરમાં ખીલેલા પ્રેમનું આલેખન આજના આધુનિક સમયમાં અપ્રસ્તુત હોઇ શકે છે. નવી જનરેશન માટે તે સમયકાળને સમજવો પડશે; પરંતુ આજે ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓને કંઇ સમજાવવું નહી પડે!

કાચી ઉંમરમાં થયેલા પ્રથમ નિર્દોષ પ્રેમને યાદ કરાવતું આ પુસ્તક આપને જુની યાદોમાં લઇ જઇ શકે છે. એવુંયે બની શકે કે તમે કોઇ જુના પ્રેમને ફેસબુકમાં શોધવામાં ખોવાઇ જાઓ. જો તમે યુવાન હોવ અને ફેસબુક કે અન્ય કોઇ સોસિયલ સાઇટ્સમાં પ્રેમભર્યા મેસેજની આપ-લે કરી હશે તો પણ તમે દરેક મેસેજની ઉંડાઇ સમજી શક્શો. ઓકે. જેઓએ આમાંથી કંઇ અનુભવ્યું નહી હોય તેમની માટે આ એક સામાન્ય/છીછરી વાર્તા બની શકે છે અથવા તો એક સુંદર ફેન્ટસી બની શકે છે!


આ પુસ્તકને બગીચાના માળી તરફથી..

5 માંથી 3 ફુલડાં!

5 માંથી 3 ફુલડાં!

નવા પુસ્તકો

– આગળની પોસ્ટમાં નવા ઉપકરણોની નોંધ લીધા બાદ વિચાર આવ્યો કે નવા ખરીદેલા પુસ્તકોની પણ નોંધ લઇ લઇએ! (બાબા બગીચાનંદની બ્લૉગર્સ શીબીરમાં પણ આ અંગે એક ખાસ ટીપ આપવામાં આવી હતી! જુઓ; અહી!)

– તો.. આજે હાજર છે છેલ્લા ત્રણ-ચાર મહિના દરમ્યાન ખરીદવામાં આવેલ પુસ્તકોની યાદી! (આમાંથી કેટલા વાંચ્યા કે કયા-કયા બાકી છે તેવી પૃચ્છા ન કરવી, નહી તો મારી દુખતી નસ પર વધુ દબાણ આવી જશે…)

– આજે આ યાદી બનાવતા એક આશ્ચર્યની વાત ધ્યાનમાં છે કે જયારથી ટેબ્લેટ મારી પાસે આવ્યું છે અને ઇ-બુક વાંચવાનો ચસ્કો લાગ્યો છે ત્યારથી e-book સિવાય બીજા કોઇ જ પુસ્તક ખરીદવામાં આવ્યા નથી!

. . .

– આમ તો ખરીદ તારીખ પ્રમાણે ગોઠવવાનો વિચાર હતો પણ દરેક પુસ્તકને અલગ-અલગ જગ્યાએથી ઉમેરવામાં આવ્યા છે એટલે તેની વિગત મેળવવામાં ઘણો સમય જાય એવું લાગ્યું; એટલે અહી random ગેલેરી બનાવી દીધી છે. (ચોખવટ: કોઇ સારા પુસ્તકની ઇમેજ અથવા તો આપને ગમે તેવા પુસ્તકનો ફોટો નાનો દેખાય તો અહી તેવી ગોઠવણી અંગે મારી ઉપર શંકા ન કરવી અને છતાંયે જો શંકા હોય તો એકવાર પેજ રીફ્રેશ કરીને ચેક કરી લેવું.)

Book: એકલવીર

એકલવીર - પોલો કોએલો. પુસ્તકનું મુખપૃષ્ઠ

પુસ્તકનું નામ: એકલવીર

લેખક: પોલો કોએલો

– લેખક પોલો કોએલો (સાચો ઉચ્ચાર – પૌલો કોએલ્હો) દ્વારા લખાયેલા પુસ્તકોને દુનિયાભરમાં લોકોએ વખાણ્યા છે અને અનેક ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે.

– આ પુસ્તક, એકલવીર, મુળ આંરરાષ્ટ્રીય બેસ્ટસેલર બુક Winners Stand Alone નો ગુજરાતી અનુવાદ છે. જો કે આ પુસ્તક સૌ પ્રથમ પોર્ટુગીઝ ભાષામાં લખાયેલું છે.

બુક - એકલવીર, પોલો કોએલ્હો
પુસ્તક – એકલવીર, પોલો કોએલ્હો
(છેલ્લા પાનાનો ફોટો )

– પુસ્તકમાં મુખ્ય છએક પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ અને વિચારોનું વર્ણન છે. ઘણી જગ્યાએ પૈસાદાર લોકોના વૈભવ, આદત અને દુર્ગુણો પર ભારે કટાક્ષ પણ છે.

– ભાષાંતરમાં પણ મુળ લેખકની છટા જાળવી રાખવા બદલ અનુવાદકને અભિનંદન આપવા પડે. ઉપરા-ઉપરી બનતી રોચક ઘટના અને મુખ્ય પાત્રોની મનોસ્થિતિની સાથે ચાલતું આ પુસ્તક રસપ્રદ તો છે જ.

– મારી સમજણ અનુસાર હું પુસ્તકના મુખ્ય પાત્ર, આઇગોર, ના દરેક વિચારો કે કાર્યો સાથે સહમત થઇ શકતો નથી. પણ હા, પુસ્તક અનુસાર તેનો ભુતકાળ અને વર્તમાનની સ્થિતિ આધારે તેની મનોસ્થિતિ સમજી શકાય એવી છે, છતાંયે કયાંક તેના વર્તનથી તેના વિચારો અંગે મનમાં ગુંચવાડો થાય છે.

– પુસ્તકના મુખપૃષ્ટ પર શિર્ષકની ટેગ-લાઇનમાં ‘જીંદગીના શ્રેષ્ઠ મુલ્યો શોધવાની પ્રેરણાત્મક કથા’ -એવું લખેલું છે પણ અંગત રીતે મને બે-ત્રણ વિષય-વસ્તુ ઉપરાંત કંઇ એવું ખાસ ન જણાયું.

વિચિત્ર ઘટનાઓ અને વિચારો સાથે-સાથે પુસ્તકનો અંત જે સ્થિતિએ આવે છે ત્યાં, મારા મતે, વાચકને એક અતિવિચિત્ર જગ્યાએ એકલો છોડી દેવાયો હોય એવી લાગણી ઉપજે છે.


આ પુસ્તકને બગીચાના માળી તરફથી..

5 માંથી 2.5 ફુલડાં!