કોઇ નાજુક ક્ષણે અનુભવાયેલી એક મજબુરી…
બગીચાનંદના સંવેદનોમાંથી..
નોંધઃ અહી દરેક સહમત થાય તે જરૂરી નથી.
કોઇ નાજુક ક્ષણે અનુભવાયેલી એક મજબુરી…
બગીચાનંદના સંવેદનોમાંથી..
નોંધઃ અહી દરેક સહમત થાય તે જરૂરી નથી.
– હવે, બિમારીનો અંત અને સ્વસ્થ બનવાની શરૂઆત છે; પણ મારી બેટરી હજુ ઉતરેલી જણાય છે. (રિચાર્જ માટે દવાઓ ચાલું રાખવાની છે.)
– ખોવાયેલા ફોનનું સિમકાર્ડ અઠવાડીયા પછી નવું બન્યું. (થેંક્સ ટુ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર!…પહેલા ૨ કલાક કહ્યા અને પછી ૪-૫ દિવસ ‘સિસ્ટમ પ્રોબ્લેમ‘ કહીને કાઢ્યા.)
– ઘરે નવરા હોવાથી દેખવાની બાકી એવી ઘણી સરસ ફિલ્મને જોઇ કાઢી અને સાથે-સાથે મજબુરીના કારણે ઘરમાં નિયમિત ચાલતી ઘણી ડેઇલી-સિરિયલ પણ જોવાઇ ગઇ… 😨
અને બીજુ આવું-જેવુ-તેવુ-ઘણું-બધુ વગેરે વગેરે વગેરે…. (બસ, દરેક વાત અહીયા ઉમેરીને કોઇની ઉપર માનસિક ત્રાસ નથી ગુજારવો.) 😇
– હવે વાતનો મુદ્દો બદલે તો સારું એમ લાગે છે ને….. ઓકે…તો નવી વાત..
– ગરમીની વચ્ચે વરસાદ પણ અચાનક આવીને હાજરી પુરાવી ગયો. કોઇ વ્યક્તિ દ્વારા જાણકારી મળી કે તે વરસાદ કુદરતી નહોતો પરંતુ કૃત્રિમ-વરસાદ હતો. વૈજ્ઞાનિકોની એક ટુકડી દ્વારા અત્યારે ગુજરાતમાં તેના પરિક્ષણ કરી રહી છે તેવી માહિતી મળી છે અને રાજકોટમાં થયેલા વરસાદમાં પણ તેમનો જ હાથ હતો તેવા સમાચાર પણ છે. (કંઇક સાચુ કે ખોટું હોઇ શકે પણ જાણકારી આપનાર વ્યક્તિની માહિતી ખોટી હોવાના ચાંસ ઓછા છે છતાંયે સંભાવના નકારી ન શકાય.)
– પેન્ટાલુન-બિગબઝાર વાળા ‘ફ્યુચર ગ્રુપ’ના શ્રી કિશોર બિયાનીનું સુધા મહેતા દ્વારા ગુજરાતી અનુવાદિત પુસ્તક ‘સપનાથી સફળતા‘ ઘણું સરસ છે. (હજુ પુરું વાંચવાનુ બાકી છે પણ રસપ્રદ લાગે છે અને ભાષા પણ એકદમ સરળ છે.)
– આપણાં પુર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ આજકાલ શ્રીમાન દિગ્વિજય સિંહની જેમ ગમે ત્યાં કંઇ પણ કહીને વિવાદ ઉભો કરવા લાગ્યા છે. હમણાં જ્ઞાતિવાદી સમારંભો જોરશોરમાં ચાલી રહ્યા છે જેમાં આપણાં હાલના મુખ્યમંત્રી પણ જોશભેર ભાગ લઇ રહ્યા છે. (લોકો માંડ જ્ઞાતિવાદી રાજકારણથી છુટા પડતા દેખાતા હતા ત્યાં વળી જ્ઞાતિવાદી સમિકરણો ફરી જોડાવા લાગ્યા છે. હે ભગવાન…. કયારે સુધરશે અમારા આ નેતાઓ..)
– વિકટ પ્રશ્ન: કાલે કંઇક ‘ખાસ’ છે તેવુ રિમાઇન્ડર અત્યારે મળ્યું; પણ યાદ નથી આવતું કે તે શું હશે!!?… કેટલીય વારથી એ જ વિચારું છું. 🤯 (રિમાઇન્ડર મુકતી વખતે તેની નોંધ ન ઉમેરવાથી આવી પરિસ્થિતિ ઉદભવે.)
નવા ફોનમાં બધા કોન્ટેક્ટ્સ ઉમેરવામાં થોડો સમય લાગે તેમ છે. ત્યાં સુધી જો કોઇ મને કૉલ કરે તો તેમની ઓળખાણ હું પુછું ત્યારે સવાલ કર્યા વિના આપી દે તો વાંધો ન હોવો જોઇએ ને? બોલો, લોકોને એમાંય ખોટું લાગી આવે છે!
🙏
. . .
– ગયા વર્ષના ઉનાળામાં થયેલ ડેન્ગ્યુ-ટાઇફોઈડ-મેલેરીયાની ત્રીપલ બિમારીની શાહી સુકાઇ નથી ત્યાં આ વર્ષે પણ મે મહિનાની બિમારી સાથે ધમાકેદાર શરૂઆત થઇ છે. (દર વર્ષે એકાદવાર કોઇ મોટી બિમારીના ભોગ બનવું એ જાણે એક કુદરતી નિયમ બની ગયો છે.)
– લગભગ આઠ દિવસથી દિવસના ચોક્કસ સમયે મારી મુલાકાત લેતો અસહ્ય તાવ અને અશક્તિનો હુમલો મને ઘણો સતાવી રહ્યો છે. છેવટે થોડા દિવસની દવા બાદ સ્થિતિમાં સુધારો ન જણાતાં બે દિવસ પહેલા જ બ્લ્ડ-રિપોર્ટ કરાવવામાં આવ્યો. (લેબોરેટરીવાળાએ ટેસ્ટ કરવા માટે બે ઇંજેક્શન ભરીને લોહી કાઢી લીધું એ જોઇને મારું તો શેર લોહી બળી ગ્યું બોલો..)
– દસમા ધોરણની બોર્ડની પરિક્ષાના પરિણામ સમયે નાપાસ થનાર વિદ્યાર્થીને જેટલો ડર માર્કશીટ હાથમાં આવવાનો હોય એટલો ડર કાલે બ્લ્ડરિપોર્ટ લેવા જતી વખતે હતો. પરંતુ…… પેલો નાપાસ થનાર વિદ્યાર્થી ફસ્ટકલાસ સાથે પાસ થાય ત્યારે તેને લાગે એવો સુખદ (અને આશ્ચર્યજનક) ઝાટકો મને પણ લાગ્યો જ્યારે મે જાણ્યું કે મારા દરેક રિપોર્ટ નોર્મલ છે. (હાશ…….)
– રિપોર્ટ લઇને સીધા ડૉક્ટરસાહેબ સાથે મુલાકાત ગોઠવવામાં આવી અને રિપોર્ટ નોર્મલ આવ્યાની બધી ખુશી હવામાં ‘છુ’ થઇ ગઇ. 🙁 કારણ – શ્રીમાન ડૉક્ટરની આ સલાહ – “દરેક રિપોર્ટ નોર્મલ છે પણ શરીરમાં બિમારી ચોક્કસ છે એટલે હવે દવાઓના અખતરા કર્યા સિવાય જલ્દી જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું યોગ્ય છે.” (મમ્મી મને હોસ્પિટલમાં દાખલ નથી થવું…. આવી જીદ પણ ન કરી શકીએ. કેમ કે હવે મારી મોટામાં ગણતરી થવા લાગી છે ને…)
– કામકાજની જરૂરી વ્યસ્તતા છોડીને દાખલ થઇ જવું લગભગ અશક્ય છે અને હેલ્થ પણ જરૂરી છે. છેવટે આખો ‘કેસ’ યોગ્ય દલીલ સાથે પપ્પાની ફાસ્ટટ્રેક કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. જજ પપ્પાએ નિર્ણય જાહેર કર્યો કે પરિવારના ખાસ મિત્ર એવા એક અનુભવી ડોક્ટરની સલાહ લેવી અને તેઓ જે કહે તે મુજબ આગળ વધવું. (નિર્ણયનો અમલ સત્વરે થાય તેવો હુકમ પણ તેમાં સામેલ હતો.)
– કાલે રાત્રે જ ડોક્ટર-મિત્રની મુલાકાત લેવામાં આવી. અગાઉની દરેક દવાઓ અને રિપોર્ટના અભ્યાસ બાદ તેમનો નિર્ણય – “અત્યારે દાખલ થવાની કોઇ જરૂર નથી લાગતી, શારીરિક થાક જણાય છે અને શરીરને આરામની ખાસ જરૂર છે. ઓછામાં ઓછા ત્રણ દિવસનો ઘરે સંપુર્ણ આરામ અને થોડી દવાઓથી બિલકુલ ઠીક થઇ જવાશે.” (આ ડોક્ટર ઘણાં સારા છે. જોયું, કેવી સારી સલાહ આપે છે !!)
– ખાવા-પીવામાં અને દવાઓ લેવામાં કેટલાક નિયમો પાળવાના છે. (અહી ‘મગનું પાણી પીવું’, ‘ખીચડી ખાવી’ વગેરે જેવા કેટલાક અઘરા નિયમોનો સમાવેશ થાય છે.) કામકાજને ફોનથી જ ‘પતાવવા’ એવો ડોક્ટરનો ચોખ્ખો આદેશ છે. ભીડ-ભાડ વાળી જગ્યા, લગ્ન પ્રસંગનું ભોજન, બહારનો નાસ્તો, તીખું-તળેલું વગેરેનો થોડા દિવસ ત્યાગ કરવો એવું ‘ખાસ’ સુચવવામાં આવ્યું છે. (પુસ્તકમેળાની મુલાકાત કેન્સલ. 🙁 )
– એક દુખદ નોંધ : મારો મોબાઇલ કાલે ખોવાઇ ગયો છે અને તેની સાથે જોડાયેલી ઘણી યાદો પણ ખોવાઇ ગઇ. થોડી-ઘણી શોધખોળ બાદ તેનો પત્તો ન લાગતા છેવટે આજે સવારે તેને કાયમ માટે ગુમાવેલો ગણીને તેની ‘સિમકાર્ડ સર્વિસ’ બંધ કરાવી દેવામાં આવી છે. બીજા સિમકાર્ડ અંગે સોમવારે કાર્યવાહી કરવામાં આવશે. (મોબાઇલ ખોવાયાના કેસમાં પોલિસ ફરીયાદ કરીને કોઇ ફાયદો નથી હોતો. કેમ કે ‘બિતા હુઆ વક્ત ઔર ખોયા હુઆ મોબાઇલ કભી વાપસ નહી મિલતા’.)
– ફાઇનલી, આજે…..
. .
# આજનું જ્ઞાન:
– આરામ કરવાનો પણ કયારેક થાક લાગતો હોય છે.
. . .