Feb’21 – અપડેટ્સ

બ્રેક એટલો લાંબો ચાલ્યો છે કે અહિયાં પાછા આવવામાં એ વિચારવું પડે કે હું શું લખું અને શું રહેવા દઉં.

આ સમયકાળમાં ઘણું બની ચૂક્યું છે અને તાપી-નર્મદામાં કેટલાયે પાણી વહી ગયા હશે. (અમારી સાબરમતી  બંધાયેલી છે એટલે તેનો ઉલ્લેખ જાણી-જોઈને ટાળી દીધો છે.)

લોકોને બે છેડા ભેગા કરવા મથવું પડતું હોય છે: અને હુ આજકાલ ફેક્ટરી, ઓફિસ અને ઘર એમ ત્રણ છેડા વચ્ચે મથી રહ્યો છું. વ્યસ્તતા પહેલાંય રહેતી હતી પણ છેલ્લા કેટલાક મહિનાથી હું મારી હદ વટાવી રહ્યો હોંઉ એમ જણાય છે.

પોતાના કંફર્ટ ઝોનથી બહાર નીકળવાના બહાને એટલો આઉટ-ઑફ-કંફર્ટ છું કે સમજાતું નથી કે જે પણ કરી રહ્યો છું એ ઠીક તો છે ને. (ઘણાં સવાલોએ મનમાં કાયમ ઘર કરી લીધું છે.)

કરી રહ્યો છું એ બધું ઠીક છે અને ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ હશે; છતાંયે હું મારી આજને સ્વીકારી શકવામાં અસમર્થ જણાઉ છું. (હું જાણે કોઈપણ રીતે આ બધાથી છટકવા માટે તરફડિયા મારું છું.)

સમય મળ્યે વિસ્તારથી ઘણું બધું નોંધવાની ઇચ્છા છે. હા, તેના પહેલાં એક વિચિત્ર પોસ્ટને ડ્રાફ્ટમાંથી રજા આપવી છે એટલે તેના પછી જ નવી વાતનો વારો આવશે.

નિઃસ્વાર્થ ભાવ અને શ્રધ્ધા

faith


“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

ના. આવું કંઇ જ અમે જાતે લખ્યું નથી; આ તો રખડતાં-વાંચતા ઉપરોક્ત વાક્ય એક બ્લૉગમાં નજરે આવી ગયું અને હવે મનમાં અટકી ગયું છે. (તે બ્લૉગને અહીયાં લીંક કરી શકાય, પરંતુ અમારી બચેલી સમજણ એવું કહે છે કે તેમ કરવું કોઈને સળી કરવા બરાબર ગણાશે.)

લગભગ આ જ પ્રકારનો અર્થ ધરાવતા વાક્યો હું ઘણીવાર પ. પુ. સંતો/મહંતો અને મહાજ્ઞાની ગુરુઓ પાસેથી પણ સાંભળી ચુક્યો છું એટલે મારી માટે કંઈ નવું નથી. (સંસારમાં અગાઉ બધું કહેવાઇ ચુક્યું છે!)

આજે એમ જ આ વાત પર નજર પડી હતી તો તેના પર વધું ચિંતન કરવાનું મન થયું. જો એકલા-એકલા વિચારીને ભુલી જઇએ તો વાતનું વતેસર ન થાય પરંતુ આ વાતને મારા વિચારો તરીકે આ બગીચામાં કાયમી નોંધવાની પણ ઇચ્છા થઇ; જેથી હું મારી આ સમયની માન્યતાને ભવિષ્યમાં પણ જોઇ શકું! (અહી નોંધાયેલી વાતોથી બીજો ફાયદો એ પણ થાય છે કે ક્યારેક જરૂર પડે ત્યારે આખીવાત સમજાવવાની મહેનત કરવા કરતાં કોઇને ડાયરેક્ટ રેફરન્સ લીંક આપતા ફાવે.)

ઉપરનું ક્વૉટ ધરાવતી મુળ પોસ્ટ આસ્તિક અને નાસ્તિક વચ્ચેના મુકાબલામાં આસ્તિકતાને સર્વશ્વ/સર્વોત્તમ/સત્ય પુરવાર કરવાના હેતુથી હતી. (કોઇને ઇચ્છા હોય તો તે પોસ્ટની લીંક માંગી લેજો. ઠીક લાગશે તો મોકલી પણ આપીશ)

ટેકનીકલી અમે હજુ થોડાક આસ્તિક છીએ પણ વધારે પડતી તાર્કિક વાતો કરતા હોવાથી લોકોએ અમને નાસ્તિક્તાના ટોળામાં સમાવી દીધા છે! (હોય એ તો… જેવી જેની સમજણ.)

જો કે બગીચાવાળા બાબા બગીચાનંદે પણ પ્રખર અધ્યયન બાદ કહ્યું છે કે; આસ્તિકતા પુરવાર કરવા માટે ‘શ્રધ્ધા‘ સૌથી શક્તિશાળી હથિયાર છે; કે જેનો મુકાબલો ક્યારેય નાસ્તિક લોકો નહી કરી શકે. 1

~ પ્રસ્તાવનામાં જ ઘણું કહેવાઈ ગયું; હવે મુખ્ય મુદ્દા ઉપર આવું. (મને પણ થયું કે હું વાતને ખેંચી રહ્યો છું.)


# વાક્યના પ્રથમ ભાગનું પૃથ્થકરણ2 કરીએ:

“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે.”

  • આ વિશે વધારે કહેવાની જરુર તો નથી કેમ કે આ એક સંપુર્ણ સનાતન સત્ય છે. તેની સત્યતા વિશે લગભગ કોઇ મતમતાંતર નહી હોય. (કેટલીક વાત એટલી સાચી હોય કે તે વિશે ટિપ્પણી થઈ ન શકે.)
  • સનાતન સત્ય એવા આ વાક્યનો ઉપયોગ અહીયાં માત્ર બીજા વાક્યની સત્યતાને વધુ પ્રમાણમાં સાબિત કરવા માટે જ થયો છે. (છતાંય આ પૃથ્થકરણ માટે કોઈને વાંધો હોય તો કહી દેવું.)

# હવે આ પોસ્ટ લખવાનો જે મુળ હેતુ છે તે ભાગ પર આવીએ –

“નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

  • ચર્ચા માટે અઘરો વિષય પણ સમજવામાં સાવ સરળ. અઘરો એટલા માટે, કેમ કે મોટા/મહાન જ્ઞાનીઓના ઓટલા અને રોટલાનો સવાલ છે! (તેમના મતે… આપણે સામાન્ય માણસ પાસે એટલું જ્ઞાન જ ક્યાં છે કે એવા તત્ત્વજ્ઞાનીઓના વિષય પર ચર્ચા કરી શકીએ!)
  • શ્રધ્ધાની વ્યાખ્યા ઘણી વિસ્તૃત છે, પરંતુ બાબા બગીચાનંદ અનુભવીઓના સંસર્ગ બાદ વ્યાખ્યાથી થોડું આગળ વધીને જણાવે છે કે અંધશ્રધ્ધા એ શ્રધ્ધાનું વિરોધી નથી. શ્રધ્ધાનું વિરોધી અશ્રધ્ધા કહી શકાય. અંધશ્રધ્ધા તો એક એવી પરિસ્થિતિ છે જે શ્રધ્ધાના અતિરેક પછી જન્મે છે.
  • અહી ઉપર જે વાક્યમાં જણાવ્યું છે કે “નિઃસ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય” – શ્રધ્ધા ક્યારેય નિઃસ્વાર્થ ભાવે હોઇ જ ન શકે. માત્ર અંધશ્રધ્ધા જ નિઃસ્વાર્થ ભાવે હોઇ શકે છે. શ્રધ્ધા ત્યાં જ જન્મી શકે જ્યાં સ્વાર્થ હોય. જો અગર સ્વાર્થ નથી તો ત્યાં ક્યારેય શ્રધ્ધા પ્રવેશ કરી જ ન શકે!
  • જો કોઇને એમ લાગતું હોય કે તેમની શ્રધ્ધા ખરેખર સંપુર્ણ નિઃસ્વાર્થ છે, તો પોતાના મા-બાપ/બાળકો/ઇશ્વરના સમ ખાઇને દિલ પર હાથ મુકીને મનોમન વિચારજો. કોઇનેય જણાવ્યા વગર તમારી શ્રધ્ધાના ઉંડાણમાં જજો કે શા માટે આપને જે-તે પંથ/વ્યક્તિ/ગુરૂ/ઇશ્વર/ધર્મ પ્રત્યે એટલી શ્રધ્ધા છે. (આપનું દિલ આપને સાચો જવાબ આપશે જ. આપનો સ્વાર્થ પણ જણાવશે. હા, મોક્ષ કે સ્વર્ગ મેળવવાની ઇચ્છા પણ સ્વાર્થનો જ એક પ્રકાર છે! બસ, આપનું તાર્કિક મગજ તેને સ્વીકારવા તૈયાર હોવું જોઇએ.)
  • સ્વાર્થથી જન્મેલી આ શ્રધ્ધામાં જ્યારે અતિરેક ભળે ત્યારે તેનું અંધશ્રધ્ધામાં રૂપાંતર થતું હોય છે અને અંધશ્રધ્ધા જન્મે તો જ નિઃસ્વાર્થ ભાવ જન્મ લેતો હોય છે.
  • આવી અંધશ્રધ્ધામાં રાચતા વ્યક્તિની શ્રધ્ધા એકદમ પવિત્ર અને નિઃસ્વાર્થ કહી શકાય. કેમ કે આ કક્ષા બાદ વળતરની અપેક્ષા નહિવત બની જાય છે અને ક્યારેક વળતરનો એ સ્વાર્થ ભુલીને પોતાની જાતને જે-તે વસ્તુ/વ્યક્તિ કે અન્ય હેતુ માટે નિઃસ્વાર્થ પણે ખપાવી દેવા તૈયાર થઇ જાય છે.
  • આ સ્થિતિમાં વ્યક્તિની સામે તર્ક, વાસ્તવિકતા કે વૈજ્ઞાનિક સત્યની કોઇ કિંમત હોતી નથી, તેની માટે તેની અંધશ્રધ્ધા3 જ સર્વોપરી, સનાતન અને નિઃસ્વાર્થ બની ગઇ હોય છે.

માટે, ઉપરોક્ત પુર્ણ વાક્યના અધ્યયન અને તે વિશે વિચારણા કર્યા બાદ કહી શકાય કે શરુઆતમાં જણાવેલ આખું વાક્ય/ક્વૉટ સદંતર ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે.

લાગતા-વળગતા નોંધ લે.
ન સમજાય તે ઇગ્નૉર કરીને આગળ વધે.
અસ્તુ.

🙏

Dec’20 – અપડેટ્સ

nayra's hand

સૌથી તાજી અપડેટ્સમાં એ છે કે હવે સિઝન બદલાઈ છે અને ઠંડીની ઓફિસિયલી શરૂઆત થઈ ચુકી છે. (આ લીટીમાં ઓફિસિયલી શબ્દની કદાચ જરૂર નહોતી.)

કોરોના તો ફુલ ગતિમાં આગળ વધી રહ્યો છે અને તેની ગતિ રોકવાની કોઇનામાં તાકાત હોય એવું જણાતું નથી. સમય-જતાં લોકો ચેતે અને સુધરે તો વાત અલગ છે, પણ તેવી સંભાવના દેખાતી નથી. (હું પોતે પણ માસ્ક સિવાય બીજી કોઈ સાવધાની રાખતો નથી તો બીજાને શું કહી શકું..)

સજીવોની કક્ષામાં આવતા દરેકની આ એક સામાન્ય લાક્ષણિકતા કહી શકાય કે તે સ્થિતિ અનુરૂપ પોતાને ઢાળી લે છે. શરૂઆતમાં સ્વભાવ અનુસાર વિરોધ કરશે અને લડશે. જો જીતી જાય તો ઠીક નહી તો ધીરે ધીરે તેની સાથે સમાધાન કેળવશે. વધુ શક્તિશાળી વિરુધ્ધ લડાઈ નિવારવાનો પ્રયત્ન પણ કરશે. જ્યાં નિવારી ન શકાય ત્યાં સમાધાન કેળવશે અથવા તો શક્તિશાળીની શરણાગતિ સ્વીકારશે. જે સમાધાન કે શરણાગતિ ન સ્વીકારે તે લડીને નાશ પામે એવુંય બને અથવા તો વિજયી થઈને પોતાનો મજબુત વંશ આગળ વધારે. આખું ચક્ર આમ નિરંતર ચાલ્યા રાખે. આપણી સૃષ્ટિનો આ એક નિયમ છે અને આ નિયમથી આપણે સૌ જીવ બંધાયેલા છીએ. (વિનંતીઃ આ જ્ઞાન ઉછીનું નથી. બાબા બગીચાનંદે સ્વયં સાધના કરીને મેળવ્યું છે! તેમની ઈજ્જત ભલે ન કરો પણ આ જ્ઞાનને થોડીક રિસ્પેક્ટ આપશોજી. 🙏)

મૂળ અપડેટ્સ પર આવું. ઘણાં દિવસથી વેકેશનબાજી કરી રહેલા વ્રજ-નાયરા અને મેડમજીને શનિવારે લેવા જવાનું છે. સ્કૂલ તો ઘણાં દિવસથી ચાલુ થઈ ગઈ હતી પણ ઓનલાઈન-એજ્યુકેશનની ગમે-ત્યાં-ભણો પધ્ધતિનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે. (‘એજ્યુકેશન’ને ‘એડ્યુકેશન’ કહી શકું એટલો હજુ મોડર્ન નથી થયો.)

આ વખતે એકલાં રહેવાનો સમય થોડો લાંબો રહ્યો, તો પણ મને તેમાં વાંધો ન રહ્યો! હું એકલો રહીને પણ ઘણો ખુશ રહેતો માણસ છું. બધા સાથે હોવાનો અનેરો આનંદ હોય અને એકલાં રહેવાની પણ એક અલગ મજા હોય. યે ભી એક મૌસમ હૈ; તુમ ક્યા જાનો! એમપણ આ વખતે તો એકલાં રહીને એકલો ન રહ્યો હોઉં એવી મારી સ્થિતિ રહી છે.

સાઈડટ્રેકઃ ઉપરની છેલ્લી લાઈન લખતાં-લખતાં તેને મળતી આવે એવી એક ગઝલની બે લાઇન યાદ આવી રહી છે; કે..

મનની સ્થિતિ હંમેશા આશિક રહી છે,
કાલે જ મેં કોઈને માશુક કહી છે…

અચ્છા કોઈને આ ગઝલની શરૂઆત યાદ છે? મને તો આખી ગઝલ બહુ ગમે છે. મારી સમજણના સમય પહેલાંથી એ ગમે છે. હા, સમજણના સમય પહેલાંથી ગમવું-સમજવું એ એક વિચિત્ર ઘટના પણ કહેવાય જે મારી સાથે કાયમ બનતી રહી છે. (આવી વિચિત્રતાઓને લીધે જ હું વિચિત્ર કહેવાઈ જાઉ છું. બાકી તો સાવ સીધો માણસ છું.)

ખૈર, જો કોઈને આ ગઝલ અને તેની સંગીતમય પ્રસ્તુતિ ગમે તો કહેજો, તો આપણે આપણાં ફેવરીટ-સોંગ નું લિસ્ટ એકબીજા સાથે વહેંચીશું. ઘણાં સમય પહેલાં યુ-ટ્યુબ પર પ્લેલિસ્ટ બનાવ્યું હતું જે પછી ભુલાઈ પણ ગયું હતું. આજકાલ એકલાં સમયનો સદુપયોગ કરીને તેમાં નવા ગીતો પણ ઉમેર્યા છે. યુ-ટ્યુબ પર Baggi’s Select સર્ચ કરશો તો તરત મળી જશે! (એમ તો 90s ના ગીતો હજુયે ઘણાં વધારે છે.)

ઘરથી થોડા દૂર અંતરે એક વધુ કામ શરૂ થવાનો સમય નજીક આવી ગયો છે. મારા માટે કમ્ફર્ટ-ઝોન બહારનું કામ છે; પરંતુ તેને ચેલેન્જ તરીકે સ્વીકારીને બતાવી દેવાનું મન થાય છે. (કોને બતાવી દેવું – એ હજુ નક્કી નથી.)

સાચું કહું તો મારી પાસે અત્યારે પુરતું છે તો હું આ નવું કેમ શરૂ કરી રહ્યો છું તે માટે સાચે જ મારી પાસે કોઇ કારણ નથી. જરૂરથી વધારે ભેગું કરવામાં સરવાળે માણસ ઘસાઈ જતો હોય છે અથવા તો સંપતિ માટે વધુ ભુખ્યો થતો જાય છે. સંતોષ એકંદરે સુખ આપે છે. એમ તો પૈસા કમાવવા પણ એટલું જ જરૂરી છે. બસ, તેની એક હદ રાખવી પડે. (વગર પૈસે વૈરાગ્યની વાતો કરવા કરતાં પૈસા ભેગા કરીને જો વૈરાગ્યનો દેખાડો પણ કરશો તોયે ચાર માણસમાં પુછાતા રહેશો. 😎)

તો, હું સંતોષના પક્ષમાં છું કે વધુ ભેગા કરવાના પક્ષમાં? ..આજે ફરી એકવાર હું કોઈ એક પક્ષને પસંદ કરવાને બદલે મધ્યમાં રહેવા મજબૂર જણાઉ છું. (સંસાર પોતાનો મત જાતે જોઈવિચારીસમજીને પસંદ કરે. બાબા યહાં આપકી કોઈ હેલ્પ નહી કર શકતે.)

લાંબા સમયથી લખાયેલી એક પોસ્ટ ઘણાં દિવસથી ધક્કે ચડી રહી છે તો વિચારું છું કે તેને ન્યાય આપુ. પણ, તેના પછી મને કેટલાક લોકો ગાળો આપે એવી શક્યતા વધુ છે એટલે જ તો ટાળી રહ્યો છું. ઓકે.. એમાં શું વિચારવાનું? જે થશે એ જોયું જશે. આ મારો બગીચો છે; તો મને ગમે એમ કરી શકું. (એમપણ નવી પોસ્ટના મેલ ચુપચાપ બંધ કર્યા પછી અહીં ખાસ લોકો આવતા નથી એટલે કોઈ વાંધો નહી આવે.)

કદાચ હવે અપડેટમાં નોંધવા જેવું બીજું કંઇ ખાસ જણાતું નથી. કોરોનાથી બને એટલું સાચવવાનું છે. બેધ્યાન ભલે રહીએ તો પણ ડરતા રહેવાનું છે. ડર હશે તો જ ચેતીને રહેવાશે!


હેડર-ફોટોઃ નખ રંગવાની શોખીન નાયરા’ના બે હાથ. આજકાલ તેનો આ શોખ જોઈને મારે નેઇલ-પૉલીશ બનાવવાનો ધંધો વિચારવો પડે એમ છે!