જવાબ

broken

• તો તું નહી આવે?
– ના.

• તને મન નથી થતું?
– મારે ખોટું નથી બોલવું.

• તો સાચું બોલી દે..
– સાચું મારા સુધી જ રહે એ ઠીક છે.

• તું આવો કેમ છે?
– હું આવો જ હતો, હંમેશાથી..

• તું મને હર્ટ કરી રહ્યો છે યાર..
– જાણું છું.

• તો પણ?
– હા, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે.

• રસ્તો ન હોય એવું ન બને.
– આજે બન્યુ છે. હું ડેડ-એન્ડ પર છું.

• તું કેમ આવું કરે છે?
– ખબર નહી.. હવે આ એકજ વિકલ્પ દેખાય છે.

• આપણે આટલો સમય સાથે હતા તો એક દિવસમાં શું બદલાઇ ગયું એ તો બોલ?
– એક દિવસમાં નથી બદલાયું; દિવસે-દિવસે બદલાયું છે. હું બદલાઇ ગયો છું. આપણે બદલાઈ ગયા છીએ.

• તો શું થયું?
– એ જ તો ઘણું થયું છે.

• મને એમાં કોઈ વાંધો નથી યાર.. આપણે સાથે છીએ એ જ મહત્વની વાત છે..
– આટલું થયા પછી પણ સાથે છીએ એમાં મને વાંધો છે. મારું આમ બદલાઇને સાથે રહેવું હવે ફાવતું નથી. મને એ જ બની રહેવું છે જે હું પહેલાં હતો; હું એ નથી જે તારી સાથે છું.

• તો રહે ને પહેલાની જેમ; તને કોણ રોકે છે.
– આપણી વચ્ચે નામકરણ કરેલા આ સંબંધનું બંધન. તેનું તૂટવું જરૂરી છે.

• પણ કેમ? એમાં તારી પણ મરજી હતી.
– ના, માત્ર તારી ખુશી માટે મેં ત્યારે સંમતિ આપી હતી એ તું જાણે છે. મેં પરિણામ વિશે ચેતવી પણ હતી તને. હવે તારી વાતમાં નથી આવવું.

• આપણે મળીશું તો બધું ઠીક થઈ જશે.
– મને એ જ ડર છે અને પછી મને એનો પસ્તાવો પણ થશે.

• તું મારુંય નહી માને?
– હવે હું કોઇનુંય નહી માનું.

• પણ કેમ?
– કારણ તું જાતે જ સમજી લે. મારાથી હવે વધુ સમજાવી શકાય એમ નથી.

• મને સમજવું છે, પ્રયત્ન તો કર..
– તું મને નથી સમજી શકી બકા; તો મારા કારણને કઈ રીતે સમજીશ..

• તું મને ગુંચવે છે.
– હું પોતે ગુંચવાયેલો છે.

• કેમ આવી ગોળ-ગોળ વાત કરે છે?
– કેમ કે મારું મગજ ફરી રહ્યું છે.

• શું થયું છે યાર તને; કેમ આવું કરે છે.
– બહુજ ખરાબ લાગ્યું છે મને તારા છેલ્લા વર્તનથી; નફરત થઇ રહી છે મારી ઉપર પુરો અધિકાર જતાવતા એ સંબંધના નામથી. તારા એ હકથી હું મને પીંજરામાં પુરાયેલો, પોતાની જાતથી કપાયેલો, ફીલ કરી રહ્યો છું. હું કેવો હતો તે શોધી રહ્યો છું. 

• તો શોધ ને; એમાં મને કેમ દૂર કરે છે?
– તું વચ્ચે આવી રહી છે અને મને હરપળ તારા એ સંબંધને પાળવા અને તે મુજબ બદલવા દબાણ કરી રહી છે. હવે મારી સહનશક્તિ ખુટી છે.

• ઠીક છે તો સંબંધનું નામ હટાવી દઇએ, બસ. પણ એટલી વાતમાં અલગ થવાની શું જરુર છે?
– બહુજ જરુરી છે. આપણે આગળ વધી ગયા છીએ બકા. અહીયાં અટકવા માત્રથી બીજું અટકવાનું નથી અને પાછા જવું હવે આપણાં માટે શક્ય નથી.

• પણ એકવાર તો મળી લે.
– મળવા માટે કોઈ કારણ નથી દેખાતું.

• તો આ સંબંધ પહેલાં પણ આપણે કારણ વગર મળતા હતા જ ને?
– હા, એમ તો કારણ ઘણાં હતા; પહેલાં એકબીજા પ્રત્યે ઉંડી લાગણી હતી. ગુંગળામણ કે અપેક્ષા વગરનું જોડાણ હતું. જોડાણ હોવા છતાં આઝાદી હતી. જેમ છે એમ જ એકબીજાનો સ્વીકાર હતો અને હવે આ એકતરફી અધિકાર, બંધન.. નથી રહેવાતું. મને આઝાદ થવું છે.

• તું આઝાદ તો છે. મેં ક્યાં પકડી રાખ્યો છે તને?
– તે પકડી રાખ્યો છે. મને કાબુમાં કરી રાખ્યો છે. મને તું જ તો ચલાવી રહી હતી; હવે નહી ચાલી શકું એમ..

• હું એટલી ખરાબ છું?
– ના, હું વધારે ભોળો હતો. હવે મારા મન મુજબ રહેવું છે. પહેલાંની જેમ બંધન વગર જીવવું છે. મારાથી આમ બંધનમાં રહેવાય એમ નથી.

• ઠીક છે. પણ.. આટલી વાર મળ્યા છીએ તો હવે એકવાર-છેલ્લીવાર મળવાથી શું થઈ જશે?
– ભુલ.

• તો તું નહી જ આવે?
– હું જવાબ આપી ચુક્યો છું.

💔

જનરેશન 2.0

નાયરાઃ પપ્પા, આ વીડીયો પ્લે કેમ નથી થતો?
પપ્પાઃ ટીવીમાં એવું ના થાય.
નાયરાઃ કેમ?
પપ્પાઃ …… 😐


નવા જમાનામાં જન્મેલા ટબુડાઓને ટચ સ્ક્રીન અને નોન-ટચ સ્ક્રીન વચ્ચેનો ફરક પણ કઇ રીતે સમજાવવો? અને આ જનરેશને તો જનમ્યા ત્યારથી ટચ ડિવાઇસ દેખ્યા છે; હવે બગ્ગુ ને કોણ સમજાવે કે ટીવી સ્માર્ટ તો થયા છે; પણ હજુ સ્પર્શથી કામ કરે એટલા હોંશીયાર નથી બન્યા.

અમારા ટાઇમમાં અમે ડબ્બા જેવા બ્લેક-એન્ડ-વ્હાઇટ ટીવી દેખ્યાનું પણ યાદ છે; જો આ છોકરાંઓને એ વિશે કહીશ તો મને આદિમાનવ જેટલો જુનો ગણી લેશે!!

🧔

Aug’20 : અપડેટ્સ

લોકડાઉન ખુલ્યા પછી કામમાં એવા પરોવાઇ ગયા કે આ જગ્યા પર આવવાની આદત છુટી ગઇ. કોરોનાએ તો ભલભલાની લાઇફ ડિસ્ટર્બ કરી છે તો અમે પણ એમાં બાકાત નથી. કળ વળતા વાર લાગશે.

રમેશભાઇને પણ નથી ખબર કે હજુ કેટલો સમય કોરોનાકાળમાં જીવવું પડશે. અમિતાભ ભૈ થી અમિત શાહ સુધી તેની ઝપેટમાં આવી ગયા એ નવાઇની વાત છે. હા, જે રીતે રિકવરી રેટ ઉંચો જઇ રહ્યો છે તે થોડીક આશા જન્માવે છે કે બધું ઠીક થઇ જશે. એમ તો જો દરરોજના નવા કેસ અને મૃત્યુના આંકડાઓ જોતા રહીયે તો ડિપ્રેશન થઇ જાય એવી હાલત છે. કોણ જાણે દવા/રસી ક્યારે આવશે.

અમદાવાદમાં કોરોનાએ જે કેર વર્તાવ્યો હતો તેને ઘણાં અંશે કાબુમાં કરવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્દે જે જે લોકોને અહીથી સારી ભાષામાં ખરાબ શબ્દો કહ્યા હતા તે અમે પરત લઇએ છીએ. શહેરના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ સૌને અભિનંદન. 104 મેડિકલ સુવિધા અને 108 સર્વિસ ફુલ ફોર્મમાં છે. હજુ પણ શહેર પર આફત તો છે જ એટલે લડાઇનો આ જુસ્સો ટકાવી રાખે તો સારું.

લડાઇથી યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં ચીનના સૈનિકો સાથે નાનકડી લડાઇ પછી સીમા ઉપર ઘણી તંગ પરિસ્થિતિ બની છે. પછીથી લાંબી વાટાઘાટો ચાલી રહી છે પણ છેલ્લે મેળવેલા સમાચાર મુજબ ચીન હજુ પાછો પગ કરવાના મુડમાં નથી. સરકારે વિવાદ વચ્ચે જાસુસીના બહાને ઘણી ચાઇનીઝ એપ્લીકેશન બંધ કરાવી દીધી છે. બીજું બધું તો ઠીક, પેલા ટીકટોકીયા નવરા થઇ ગયા હશે.

ગયા અઠવાડીએ ફ્રાન્સથી 5 લડાકુ-વિમાન આવ્યા અને ન્યુઝમાં ઘણાં ઉડ્યા. બોર્ડર પરની બબાલ ના કારણે લોકોએ રાફેલમાં ઘણો રસ લીધો કે મીડીયાએ પરાણે રસ લેવડાવ્યો એ નક્કી કરવું મુશ્કેલ છે. એમપણ મોદીના આવ્યા પછી સમાન્ય લોકોને ડિફેન્સ-મેટરમાં કંઇક વધારે જ ઇન્ટરેસ્ટ દેખાય છે! ઓકે. તેમાં રસ લેવામાં કંઇ ખોટું પણ નથી.

અરે હા, સુશાંત સિંહ રાજપુતની વાતો પણ હજુ ન્યુઝમાં છે. પહેલાં મને એમ હતું કે માત્ર આત્મહત્યાનો મામલો છે પણ જે રીતે એક પછી એક પડ ખુલી રહ્યા છે તે જોતાં દાળમાં ઘણું કાળું હોવાનું જણાય છે. અત્યાર સુધી સુશાંતની બોડીને લટકતી ઉતારવાના ત્રણ અલગ-અલગ વર્ઝન બહાર આવ્યા છે! આ સિવાય બીજી ઘણી નાની-મોટી શંકાઓ છે. ગઇ કાલના સમાચાર મુજબ બિહાર અને મુંબઇ પોલીસ વચ્ચેની ખેંચતાણ પછી આ કેસ સીબીઆઇને સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે.

આટલા વિશાળ દેશમાં કોઇ એક વ્યક્તિના મૃત્યુને સેલીબ્રીટી હોવાને લીધે આટલું કવરેજ મળે તે અતિરેક જેવુંય લાગે. સુશાંતની જગ્યાએ કોઇ સામાન્ય માણસ હોત તો નજીકના ચાર લોકો સિવાય કોઇને તેની મોતના કારણ જાણવામાં રસ પણ ન હોત.

રાજસ્થાનનો મામલો હજુ ગુંચવાયેલો છે. બે-પાંચ તો હુકમના પત્તા જેવા માથા બચ્યા છે જેને પણ કોંગ્રેસ ખોઇ રહી છે. આમ વર્તમાન કદાચ સચવાઇ જાય પણ ભવિષ્ય અંધકારમય હશે તે કોઇપણ કહી શકે છે. કોંગ્રેસીઓ જલ્દી જ આ નકલી ગાંધીઓની ભક્તિમાંથી બહાર નિકળે તો સારું અને તેને કોઇ સમજદાર આગેવાન જલ્દી મળે એવી આશા; નહી તો આ દેશ વિપક્ષ વગરનો થઇ જશે. લોકશાહી માટે વિપક્ષ વગરની સરકાર લાંબાગાળે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આજની ભાજપ ભવિષ્યમાં નહેરુ-ઇન્દીરાની કોંગ્રેસ ન બની જાય તે માટે પણ વિપક્ષ જરુરી છે.

ગઇ કાલે 5 ઓગષ્ટ હતી. રામ જન્મભૂમી પર રામ મંદિર બનાવવાનું મુહુર્ત કરવામાં આવ્યું. મંદિર તો બનશે ત્યારે દેખાશે પણ નરેંદ્ર મોદીએ પોતાનું કદ ઘણું વધારી દીધું. ધાર્મિક કાર્યક્રમમાં દેશના વડાપ્રધાને ન જવું જોઇએ એવો તર્ક કરનાર મહામુર્ખ હોઇ શકે છે કેમ કે આ દેશ અને તેના નેતાઓ હંમેશા ધર્મની આસપાસ રહ્યા છે. હા, પહેલા તે મુસ્લીમ ધર્મ હતો એટલે કહેવાતા સેક્યુલરોને ચાલતું હતું પણ હવે હિંદુ માન્યતાઓને મહત્વ મળે છે તે જોઇને ઘણાંને પેટમાં દુઃખતું હોય એવું લાગે છે.

મારા માટે તો બંને પક્ષ સરખા અંતરે છે; પણ મને હંમેશા નવાઇ લાગે કે નિરિશ્વરવાદી એવા ડાબેરીઓ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરતા સેક્યુલરો છેવટે ઇસ્લામ આગળ કેમ નમી જતા હશે? ખૈર, આ બધા વિશે લખવાનું શરુ કરીશ તો વાત ઘણી લાંબી ચાલશે. હા, આ બધાની આસપાસ બીજી કેટલીક જરુરી વાતોની ખાસ નોંધ કરવી છે તો એક અપડેટ તે વિશે પણ લખવાનો વિચાર આવે છે..

ચલો હવે બઉ થઇ ગામની પંચાત. હુંય થાક્યો છું લખી-લખી ને. હવે પછી નવી ફુરસતમાં વાત આગળ વધારીશ.