અષ્ટ્મ-ષષ્ટ્મ

– અહીયાં અપડેટ્સ નોંધવાનું કાર્ય લગભગ ભુલાઇ રહ્યું છે. મારી આળસમાંથી મને જરાયે ફુરસદ મળતી નથી તેમ પણ કહી શકાય. સમય એટલો ઝડપથી સરકી રહ્યો છે કે કંઇક નોંધલાયક વિચારૂં તે પહેલા જ બીજી ઘટનાઓ પ્રથમ ઘટનાને દેખવાની દ્રષ્ટિ બદલી નાંખે છે. (મનમાં વિચારોનું વિચિત્ર દ્વંદ્વ યુધ્ધ જામેલું છે.)

– તાજેતરમાં નવરાત્રીનો શોર રહ્યો અને ગઇ કાલે શરદપુનમની ઉજવણી બાદ આ ગરબા ફેસ્ટીવલની ઓફિસીયલ પુર્ણાહુતી થઇ. ખેલૈયાઓની મજા શરૂઆતમાં વરસાદે બગાડી પણ અંતમાં મોજ કરવા દીધી. એક જગ્યાના ગરબા-આયોજક હોવાને લીધે વરસાદથી અમે પણ ઘણાં હેરાન થયા, પણ કુદરત સામે સૌ લાચાર હતા. (જેમના છત્રી-રેઇનકોટ વેચાયા/ઉપયોગ વગરના રહી ગયા હતા, તે સિવાય કોઇનું આ એક્સ્ટ્રા વરસાદથી લગભગ ભલું નહી થયું હોય! કુદરતને જે ગમ્યું તે ખરું!)

– જુલાઇ કામમાં વિત્યો, ઓગષ્ટ રજાઓ વચ્ચે અને સપ્ટેમ્બર રખડપટ્ટીમાં ગયો છે. હવે થોડા દિવસોમાં દિવાળી આવશે. લગભગ ધાર્મિક તહેવારોની ઉજવણીએ વ્યસ્ત રાખ્યા. કયારેક વિચાર આવે છે કે આ તહેવારો ખરેખર આપણાં જીવનના ઉત્સાહને ટકાવી રખાવા છે કે પછી આપણને નવરા ન થવા દેવા માટે કોઇએ કરેલું વિધિવત પ્લાનીંગ છે! (એમ તો આ વિચાર ઘણો જુનો છે પણ હું ખુદ હજુ કોઇ એક મત સુધી પહોંચી શક્યો નથી.)

– છેલ્લી અપડેટ્સ જુલાઇ મહિનામાં નોંધવામાં આવી હતી; હવે ત્રણ મહિના બાદ ફરી કંઇક લખવાનો કીડો મનમાં સળવળ્યો છે. (કુછ કીડે ઐસે ભી હોતે હૈ!)

– વ્યસ્તતાને ઉપાર્જન સાથે સીધો સંબંધ હોય એવું હું માનતો હતો, પણ પોતાની જાત અનુભવ બાદ કહી શકાય કે તે બંને વચ્ચે કાર્યકારણનો એવો કોઇ સંબંધ સિધ્ધ થતો નથી. (‘ઘડીની નવરાશ નહિ, ને પાઇની પેદાશ નહિ’ –એવી વાત છે આ.)

– આપણે સતત બદલાતા એવા સમય સાથે જીવી રહ્યા છીએ કે આજે સ્વીકારેલું સત્ય પણ આવતી કાલે આપણને જ અર્ધસત્ય કે અપ્રાસંગિક લાગવા લાગે છે. (યાદ આવ્યું કે, ક્યારેક ‘સત્ય’ વિશે ઘણું-બધું લખવાનું વિચાર્યું હતું.)

– બધું જ ઠીક છે અને એક સુખી આરામદાયક જીવન હોવા છતાં ખબર નથી પડતી કે હું શું ઇચ્છું છું. ના, આધ્યાત્મ કે આત્માની શોધમાં મને જરાયે રસ નથી. તેમાં સમય અને શક્તિનો બગાડ કરવા કરતાં કોઇ સામાન્ય માણસના ધ્યેયને પુર્ણ કરવાનું એક પગથીયું બનવું પસંદ કરીશ. (મને જલ્દી કોઇ નવું લક્ષ્ય જોઇએ છે.)

– આજકાલ કંઇક અલગ લખવાની ઇચ્છા થાય છે. એક-બે કહાનીઓ છે જે મનમાં ગુંથાઇ રહી છે, જેને કોઇ કાગળ જોઇએ છે. કયાં લખું અને કઇ રીતે તે વિશે દ્રિધા છે. વિચારું છું કે અહીયાં જ તેનું ચિતરામણ કરું; પણ પછી એમ લાગે છે કે દરેક લખાણને પબ્લીકમાં રજુ કરતાં પહેલાં તે યોગ્ય બનાવવું. (મનમાં ઉઠતા હજારો સ્પંદનોથી સ્ફુરતો આ એક વિચાર છે. ઇચ્છા છે કે તે દિશામાં હું આગળ વધી શકું.)

ઓફિસ-ટાઇમમાં આવા વિચારો કરવા એ સંસ્થા અને સંસ્થાના વહિવટદારના આર્થિક ભવિષ્ય માટે જોખમી છે, એટલે બીજા વિચારો રાત્રે કરવામાં આવશે. (આજકાલ રાત્રે ઉંઘ પણ નથી આવતી! બોલો, કેટલી ફરિયાદો છે મને મારી માટે!)

– અને મને ખબર છે કે આવું કંઇ ટાઇટલ ન હોય પણ બધી દિશાઓમાં એકસાથે ફેલાતી વાતોને યોગ્ય કોઇ મથાળુ ન સુજે તો આખરે એક માણસ પણ કેટકેટલું વિચારે!? (વધારે પડતું વિચારીને મગજ-ની-મા-બેન1 એક થઇ જાય તે પહેલા કંઇ પણ ટાઇટલ આપી દેવું સારું ને..)

– ઓકે. અસ્તુ. ખુશ રહો!

બોલો, શું કહેવું છે તમારે...